દેશના બે મહાનગર દિલ્હી – મુંબઇ વચ્ચે નિયમિત ધોરણે મુસાફરી કરતા લોકો માટે ભારતીય રેલવે તરફથી રાહતના સમાચાર આવ્યા છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, મુંબઇથી દિલ્હીના રૂટ પર એક ઝડપી રાજધાની એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની યોજના છે. દિલ્હી-મુંબઇ વચ્ચેની આ ટ્રેનની સ્પીડ મથુરા સુધી ગતિમાન એક્સપ્રેસ જેટલી એટલે કે ૧૫૦ કિમી પ્રતિ કલાકની હશે. આ ઉપરાંત દિલ્હી અને મુંબઇના રૂટ પર દોડતી આ ટ્રેનમાં સ્ટૉપેજ પણ ઓછા હશે, જેથી બંને શહેરો વચ્ચેનું અંતર ઓછા સમયમાં કાપી શકાશે.
વર્તમાન સ્થિતિમાં દિલ્હીથી મુંબઇ પહોંચતા મુસાફરોને ૧૫ કલાકનો સમય લાગે છે, પરંતુ નવી રાજધાની એક્સપ્રેસ ૧૩ કલાકમાં આ અંતર કાપશે એમ કહેવાઇ રહ્યું છે. ભારતીય રેલવે પ્રયત્ન કરી રહી છે કે, દીવાળીથી આ ટ્રેનની શરૂઆત થાય, જેથી તહેવારના દિવસોમાં લોકોને રાહત મળી રહે. આ અંગે ટૂંક સમયમાં જ રેલવે દ્વારા આ ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે અને દીવાળી સુધીમાં આ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન દિલ્હીના હજરત નિઝામુદ્દીનથી મુંબઇ સુધી જશે.