ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનાં ચેપ સતત કહેર વર્તાવી રહ્યો છે, આવી સ્થિતિમાં, પોતાનો જીવ જોખમમાં મુકનાર કોરોના વોરિયર્સ પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. છેલ્લો કિસ્સો મુરાદાબાદ જિલ્લાનો છે. અહી બુધવારે, આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ કોરોના વાયરસનાં સંક્રમણમાં આવેલા પરિવારનાં લોકોને ક્વોરેન્ટાઇન માટે લઇ જવા માટે પહોંચી હતી. ત્યારે નવાબપુરા વિસ્તારનાં લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.
ટીમ પર માત્ર પથ્થરમારો જ નહી, પણ એમ્બ્યુલન્સમાં તોડ-ફોડ પણ કરવામાં આવી હતી. જેના કારણે ટીમને પોતાનો જીવ બચાવવા પરત ફરવુ પડ્યુ હતુ. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ડૉક્ટરને બંધક બનાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ માહિતી મળ્યા બાદ અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આ મામલો નાગફની પોલીસ સ્ટેશન વિસ્તારનાં હાજી નેબની મસ્જિદ વિસ્તારનો છે. અહીં સરતાજ અલીની તબિયત બગડતા સારવાર માટે તીર્થકર મહાવીર યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના લક્ષણોને ધ્યાનમાં રાખીને, 9 એપ્રિલે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેનો અહેવાલ 13 એપ્રિલનાં રોજ મોડી સાંજે મળ્યો હતો, તે કોરોના પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. તે જ દિવસે દસ વાગ્યે તેમનુ અવસાન થયું હતુ. મોડી રાત્રે સરતાજનાં પરિવારને આઇએફટીએમ યુનિવર્સિટીમાં ક્વોરેન્ટાઇન માટે લઈ જવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ બુધવારે સરતાજનાં નાના ભાઈને ત્રણ દિવસથી તાવ આવવાનાં કારણે ક્વોરેન્ટાઇન માટે લેવા માટે આવી હતી.
ટીમ ત્યાં પહોંચ્યા બાદ વિસ્તારનાં લોકો એકઠા થવા લાગ્યા અને બાકીનાં પરિવારને લઈ જવાનો વિરોધ શરૂ કર્યો. જ્યારે આરોગ્ય વિભાગની ટીમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભીડમાં રહેલા કેટલાક લોકોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું અને તે જોતાં જ ટીમ પર હુમલો થઇ ગયો. જ્યારે ટીમે ભાગવાનું શરૂ કર્યું ત્યારે તેમણે પથ્થરમારો કર્યો. પથ્થરમારો જોઈને ટીમ સાથે ગયેલા ચાર પોલીસ જવાન મેદાન છોડી ભાગવા લાગ્યા હતા. એક ડૉક્ટરને બંધક બનાવવામાં આવ્યો છે. એચ.સી.મિશ્રાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ટેકનિશિયનને પણ ઈજા પહોંચી છે. એમ્બ્યુલન્સને પણ નુકસાન થયું છે. હાલમાં એસપી સિટી ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
એસએસપી અમિત પાઠકે ઘટના અંગે જણાવ્યું હતું કે, સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તબીબી ટીમનાં કેટલાક લોકો ઘાયલ છે. કલમ 144 અને રોગચાળો એક્ટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.