મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્ણાટક ખાતે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જનઔષધિ યોજના હેઠળ ગુજરાતમાં જેનેરિક દવાઓના વેચાણ માટે ૨૫૦થી વધુ સ્ટોર ખૂલ્યાં છે અને ૧૫મી ઓગસ્ટ સુધીમાં આ સ્ટોરની સંખ્યા ૫૦૦ જેટલી થશે.
મુખ્યમંત્રી કેન્દ્રની મોદી સરકારની ત્રણ વર્ષની કામગીરી તથા ગુજરાત સરકારની કામગીરીના પ્રચાર માટે સોમવારે કર્ણાટકમાં યોજાયેલા સબ કા સાથ સબ કા વિકાસ સંમેલનમાં ભાગ લીધો હતો તથા હુબલી ખાતે પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. ‘વિકાસ આગે બઢ રહા હૈ, મેરા દેશ આગે બઢ રહા હૈ’નો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીને ત્યાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આ સરકારે સૌથી મોટી સુરંગમાં રસ્તો શરૂ કર્યા છે. અરુણાચલ પ્રદેશમાં પહાડોમાં સૌથી લાંબી સડક આ સરકારે શરૂ કરી છે. છેવાડાના માનવીને પોતાનું મકાન મળી રહે તે માટે હોમ લોન સસ્તી કરવામાં આવી છે, હવાઈ સફર પણ સસ્તી કરાઈ છે, કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ પાંચ કરોડ લોકોને રાંધણ ગેસ જોડાણ આપવાની યોજના શરૂ કરી છે, ૨.૬ કરોડ બાળકોને રસીકરણ કરવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. તથા ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપવા પણ કેન્દ્ર સરકાર કટિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.