રાજય માં આણદહાઈવે પર વહેલી સવારે એક ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ઈકો કારમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો .જેમના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.સ્થાનિકોએ ઘટનાની જાણ કરતા 108 પહોંચી હતી સાથે જતારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે ઈકો કાર અડધાથી વધારે ટ્રક નીચે ઘુસી ગઈ હતી. આ કારણે તેમાં સવાર 7 લોકોનાં મોત ઘટનાસ્થળે થયા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ 3 લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આમ આ અકસ્માતમાં ઈકોમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો છે જેની શોધખોળ પણ પોલીસ શરુ કરી છે.પોલીસ અધિકારીઓએ મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત માં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ માર્ગ અકસ્માત નો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેકટર સાથે તાત્કાલિક ટેલીફોનીક વાતચીત કરી સૂચનાઓ આપી છે. આ માર્ગ અકસ્માતનો ભોગ બની જાન ગુમાવનારા લોકોના પરિવારજનોને યોગ્ય સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.