રાજકોટમાં હાર્દ સમા યાજ્ઞિક રોડ પર માત્ર પ્રસંગોપાત નહીં પરંતુ બારે મહિના સેવા પ્રવૃત્તિઓથી ધમધમતા રામકૃષ્ણ આશ્રમ દ્વારા રાષ્ટ્રનિર્માણ અને સેવાના કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે. અહીં કુદરતી મુશ્કેલી હોય કે કોઈપણ પ્રકારના રોગોની સારવાર કે પછી શૈક્ષણિક પ્રવૃત્તિ હોય સતત સમાજ ઉન્નતી માટેના કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે.આવા સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સહિત 10 સન્યાસીઓ અને 5 કર્મચારીઓને કોરોના સંક્રમણ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, આ ઘટનાના પગલે તાત્કાલિક ધોરણે આશ્રમ પરિષદની તમામ પ્રવૃત્તિઓ પર રોક લગાવી દેવામાં આવી છે.
![]()
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મીડિયા સાથેની વાતચીતમાં અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી એ જણાવ્યું હતું કે આશ્રમના 83 વર્ષના સ્વામી અદિભાવાનંદજી છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીઓની સારવાર લઇ રહ્યા છે. તેઓને ત્રણ દિવસ પહેલા ખૂબ જ નબળાઈનો અનુભવ થતા ડોક્ટરની સલાહ પ્રમાણે કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.આ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો ત્યારબાદ ફરીથી તેમને શહેરની એક અન્ય હોસ્પિટલમાં સંપૂર્ણ બોડી ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સીટીસ્કેન દરમ્યાન તેઓનો રિપોર્ટ પોઝિટીવ અને ન્યૂમોનિયા હોવાનું નોંધવામાં આવ્યું હતું.તેઓની તબિયત ગંભીર છે અને તેઓને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ તેઓ ફરીથી સ્વસ્થ અને લોકોની વચ્ચે આવે તે માટે સમગ્ર રામકૃષ્ણ મિશન પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વાતની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમજ તેઓની સૂચના પ્રમાણે તમામ કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યા હતા. જેમાં સ્વામીજી નિખિલેશ્વરાનંદજી સહિત નવ સન્યાસીઓ અને પાંચ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. હાલ તેઓ બધા જ કવોરેનટાઈન થઇ ગયા છે. અને તે તમામની યથા યોગ્ય સારવાર તેમજ દવાનો લેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ સંક્રમણ નો ફેલાવો ન થાય તેની તકેદારી ના ભાગરૂપે આશ્રમ નો મુખ્ય દરવાજો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે અને આશ્રમની તમામ પ્રવૃત્તિઓ અટકાવી દેવામાં આવી છે.

તેઓએ અનુયાયીઓને જણાવ્યું હતું કે આશ્રમ દ્વારા સમયાંતરે હેલ્થ અંગે અપડેટ કરવામાં આવશે પરંતુ ટેલીફોનીક સંપર્ક દ્વારા સારવારમાં ખલેલ ન પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમજ તેઓએ રાજકોટની જનતાને અપીલ કરી હતી કે આપણી કોરોના સાથેની લડાઇ હજુ પૂરી થઈ નથી તે માટે તેઓ પણ સામાજિક અંતર જાળવી રાખે, માસ્ક પહેરે તેમજ કોરો નાના પ્રાથમિક લક્ષણો પણ દેખાય તો તુરંત મહાનગરપાલિકાનો સંપર્ક કરવો. તેમજ મહાનગરપાલિકા દ્વારા થતા વિનામૂલ્યે ટેસ્ટ કરાવી લેવો જોઇએ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
