રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે 2 મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે, જેમાં રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓને પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં ને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. બીજા નિર્ણય પ્રમાણે હવે મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ હેઠળ કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં મેળવી શકાશે
વિજયભાઈ રૂપાણીએ સ્મશાન ગૃહનાં આ કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને એવો પણ નિર્ણય કર્યો છે કે સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે. બીજા નિર્ણય મુજબ રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મળશે મોટી રાહત. આવા પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડનો ઉપયોગ કરી શકશે.
વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. મુખ્યમંત્રી રૂપાણીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે.