2014માં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં સતાધિશ બની છે ત્યારથી વિપક્ષી પાર્ટીઓમાંથી પલાયન શરુ થઇ ગયું છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી ઘણાં નેતાઓએ પાર્ટી બદલીને ભાજપમાં કૂદકો માર્યો છે. પલાયન થવાનો આ સિલસિલો હજુ પણ યથાવત છે. એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નાં રિપોર્ટ અનુસાર 2016-2020ની વચ્ચે જે ચૂંટણીઓ યોજાઇ તે દરમિયાન 170થી વધુ કોંગ્રેસીઓએ કોંગ્રેસને રામરામ કરી દીધા. બીજીબાજુ ફક્ત 18 ભાજપ વિધાયકોએ જ પાર્ટીને અલવિદા કરી છે.
એડીઆરના નવા રિપોર્ટ અનુસાર, 2016-2020 દરમિયાન ચૂંટણી લડનારા 405 વિધાયકોમાંથી 182 વિધાયકોએ પક્ષ બદલ્યો અને ભાજપ જોઇન કર્યું. આ ઉપરાંત, 38 જેટલા વિધાયકો કોંગ્રેસમાં જોડાયા અને 25 જેટલા વિધાયકો તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)માં સામેલ થયા.
રિપોર્ટ અનુસાર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પાંચ લોકસભા સાંસદોએ ભાજપા છોડી અને બીજી પાર્ટીઓમાં સામેલ થયા. તો સાત રાજ્યસભા સાંસદોએ 2016-2020 દરમિયાન ચૂંટણી લડવા માટે કોંગ્રેસને છોડી.
રિપોર્ટ અનુસાર, વિધાયકોના પલાયનના કારણે મધ્ય પ્રદેશ, મણિપુર, ગોવા, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટક રાજ્ય વિધાનસભાઓમાં હાલમાં જ સરકારો પડી ગઇ. બીજી બાજુ2016-2020 દરમિયાન 16 રાજ્યસભા સાંસદોએ પાર્ટી બદલી, જેમાંથી 10 ભાજપામાં સામેલ થયા.
2019ના લોકસભા ચૂંટણી દરમિયાન 12 સાંસદોએ પક્ષ છોડ્યો જેમાંથી 5 કોંગ્રેસમાં સામેલ થયા. નેશનલ ઇલેક્શન વૉચ અને એડીઆરે 433 સાંસદો અને સાંસદોના શપથ પત્રોનું વિશ્લેષણ કર્યું જેમણે છેલ્લા પાંચ વર્ષોમાં પાર્ટી બદલી અને ફરીથી ચૂંટણી લડ્યા.