Global Warming Exclusive: ગ્લોબલ વૉર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધતા એશિયાના 50 શહેરો જળમગ્ન થઇ જવાનો ખતરો વર્તાઈ રહ્યો છે. ભારતના અનેક શહેરો પણ દરિયામાં ડૂબી જશે! અગાઉ એવી ધારણા હતી કે સમુદ્રોની વધી રહેલી જળસપાટીની ભારતને વધારે અસર નહીં થાય પરંતુ નવા અનુમાન અનુસાર સમુદ્રના વધી રહેલા જળસ્તરના કારણે મુંબઇ અને કોલકાતા જેવા મહાનગરો તો ઠીક, ગુજરાતના પણ દરિયાકાંઠાના અનેક પ્રદેશો જળમાં ગરકાવ થઇ જવાનું જોખમ રહેલું છે. આવો વિસ્તૃતમાં જાણીએ આ અહેવાલ.
ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે એ તો જાણીતી વાત છે પરંતુ વૈજ્ઞાનિકોએ જે અંદાજ માંડયો હતો એથીયે વધારે ઝડપે દુનિયાભરના સમુદ્રોની સપાટી વધી રહી છે. એવી ધારણા હતી કે આ સદીના મધ્યભાગ સુધીમાં સમુદ્રના વધતા જળસ્તરના કારણે ભારતને પણ અસર થશે અને ભારતના દરિયા કિનારાના કેટલાંક પ્રદેશો જળગરકાવ થઇ જશે. જોકે એવી ધરપત પણ હતી કે સમુદ્રોની વધી રહેલી જળસપાટીની અસર ભારતને એટલી નહીં થાય જેટલી બીજા કેટલાંક દેશોને થશે. પરંતુ આ ધારણા ખોટી પડી છે. નાસાના નવા રિપોર્ટ પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના પરિણામે ભારતના પણ નીચાણમાં રહેલાં અનેક પ્રદેશો પાણીમાં ડૂબી જવાનું જોખમ ઊભું થયું છે.
ક્લાયમેટ કંટ્રોલ નામની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ક્લાયમેટ ચેન્જ આ જ ગતિએ વધતો જશે તો મુંબઇ સહિત એશિયાના 50 શહેરો સમુદ્રમાં ડૂબી જશે. આમાં ભારત, ચીન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયેતનામના શહેરો સામેલ હશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ક્ટિકાને પણ મોટા પાયે નુકસાન થઇ શકે છે. એટલું જ નહીં, ગ્લોબલ વૉર્મિંગના કારણે અનેક ટાપુ દેશો તો નામશેષ થઇ જશે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાભરમાં આશરે 184 સ્થળો છે જ્યાં સમુદ્રનું જળસ્તર વધવાની સીધી અસર થશે. અગાઉ નાસાના એક રિપોર્ટ પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના પરિણામે ભારતના પણ નીચાણમાં રહેલાં અનેક પ્રદેશો પાણીમાં ડૂબી જવાનું જોખમ છે. અગાઉ એવી ધારણા હતી કે સમુદ્રની વધી રહેલી સપાટીના કારણે ભારતના દરિયાકાંઠે વસતા આશરે 50 લાખ લોકો વિસ્થાપિત થશે. તો બાંગ્લાદેશ અને માલદીવ જેવા પાડોશી દેશોમાં આ જોખમ વધારે હોવાનું અનુમાન હતું અને એના કારણે ત્યાંથી મોટી સંખ્યામાં શરણાર્થીઓ ભારતમાં આવી શકે છે.
નવા અનુમાન પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રોની વધી રહેલી જળસપાટીનું ભારત ઉપર પણ મોટું જોખમ રહેલું છે. અમેરિકી અવકાશ સંસ્થા નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મિશન દ્વારા થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2050 સુધી દરિયાની સપાટી એટલી વધી શકે છે કે ભારતના મુંબઇ, નવી મુંબઇ અને કોલકાતા જેવા મહાનગરો કાયમ માટે જળમગ્ન થઇ શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળ જ નહીં પરંતુ ગુજરાતના પણ કેટલાંક દરિયાકાંઠાના પ્રદેશો દરિયાની વધી રહેલી જળસપાટીનો ભોગ બની શકે છે. એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે જો આમ બન્યું તો એકલા ભારતના જ સાડા ત્રણ કરોડ લોકો વિસ્થાપિત થઇ શકે છે.
નવા અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ જે અનુમાન કરવામાં આવ્યા હતા એના કરતા વધું ઝડપે સમુદ્રોનું જળસ્તર વધી રહ્યું છે. નવા અનુમાન પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના કારણે દુનિયાભરમાં ઓછામાં ઓછા 30 કરોડ લોકો અસરગ્રસ્ત બની શકે છે. એકલા બાંગ્લાદેશમાં નવ કરોડ લોકો આનો ભોગ બનવાનો અંદાજ છે. સમુદ્રોની સપાટી કેટલી હદે વધી રહી છે એનો અંદાજ મેળવવો હોય તો વીસમી સદીમાં જળસ્તરમાં 10થી 16 સેન્ટીમીટરનો વધારો થયો હતો જ્યારે ચાલુ સદીમાં આ આંકડો 50 સેન્ટીમીટરે પહોંચી શકે છે. વૈજ્ઞાનિકોને એવો ડર સતાવી રહ્યો છે કે કાર્બન ઉત્સર્જનનો હાલના દરે વધારો ચાલુ રહ્યો તો આ સદીના અંત સુધીમાં જળસ્તર બે મીટર જેટલું વધી શકે છે.
ધરતીના વધી રહેલા તાપમાનના કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પથરાયેલો બરફ પીગળી રહ્યો છે. યૂ.એન.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક દાયકામાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં પથરાયેલી બરફની ચાદરમાં દર વર્ષે 400 અબજ ટનનો ઘટાડો થયો છે. આટલી મોટી માત્રામાં બરફ પીગળવાના કારણે મહાસાગરોની સપાટી દર વર્ષે આશરે 1.2 મિલીમીટર વધી છે. આ સમયગાળા દરમિયાન પહાડોમાં રહેલા ગ્લેશિયર પણ વધી રહેલા તાપમાનના કારણે પીગળ્યાં છે અને ગ્લેશિયરોનો પણ વાર્ષિક સરેરાશ 280 અબજ ટન બરફ પીગળ્યો છે જેના કારણે સમુદ્રોની સપાટીમાં 0.77 મિલીમીટરનો વધારો થયો છે. જાણકારોના મતે છેલ્લી એક સદીમાં દુનિયાભરના સમુદ્રોની સપાટીના કુલ વધારામાં 35 ટકા જેટલો વધારો ગ્લેશિયરોના પીગળવાના કારણે થયો છે. જોકે હવે ગ્લેશિયરોના પીગળવાના કારણે સમુદ્રોની સપાટીમાં થતો વધારો ઓછો થતો જશે કારણ કે દુનિયાભરના ગ્લેશિયરોમાં વધારે બરફ વધ્યો જ નથી. એની સરખામણીમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્ક્ટિકામાં રહેલો બરફ પીગળતા સમુદ્રોની સપાટી અનેક ફૂટ વધી શકે છે. તો છેલ્લા પચાસ વર્ષમાં આર્કટિક સમુદ્રના બરફનું પડ પણ સાવ પાતળું થઇ ગયું છે એ છેલ્લા ત્રણ દાયકામાં તેના કદમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે.
વૈજ્ઞાનિકોના મતે તાપમાનમાં આવો અનિયંત્રિત વધારો થતો રહ્યો તો વર્ષ 2040 સુધીમાં આર્કટિકનો બરફ ઉનાળા પૂરતો અદૃશ્ય થઇ જશે. દુનિયાના સૌથી મોટો ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં હજારો વર્ષોથી સેંકડો કિલોમીટર સુધી બરફની મોટી ચાદર પથરાયેલી છે. પરંતુ હવે ક્લાયમેટ ચેન્જના કારણે એના પર મોટું જોખમ તોળાઇ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સદી પૂરી થતા સુધીમાં માત્ર ગ્રીનલેન્ડમાં પીગળતા બરફના કારણે જ સમુદ્રોની સપાટી ત્રણથી ચાર ફૂટ જેટલી વધી જશે. સમુદ્રોની સપાટીમાં થનારો આટલો મોટો વધારો દુનિયાના અનેક ભાગોને ડૂબાડી શકે છે. હાલ જે ઝડપે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એ જોતાં એશિયાના ઊંચા પર્વતોમાં રહેલા ગ્લેશિયરોનો ત્રીજા ભાગનો બરફ પીગળી જાય એમ છે. એ પણ જો આપણે ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન ઘટાડીને દુનિયાના તાપમાનનો વધારો 1.5 ડિગ્રી સુધી સીમિત કરી શકીએ તો. નહીંતર તો ગ્લેશિયરોના પીગળવાની ઝડપ વધી જશે. આવનારા દાયકાઓમાં જો ધરતીનું કામકાજ આ રીતે જ ચાલતું રહ્યું અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પેટ્રોલિયમ અને કોલસા જેવા પરંપરાગત બળતણથી જ ચાલતી રહી તો ગ્લેશિયરોનો બે તૃતીયાંશ ભાગ ખતમ થઇ જશે. ગ્લેશિયરો ખતમ થતા પીવાના પાણીની ભયંકર તંગી સર્જાશે જેની અસર કરોડો લોકો પર થશે. આમ પણ મધ્ય અને પશ્ચિમી હિમાલયના ક્ષેત્રોમાં તો છેલ્લા થોડા વર્ષોથી સિંચાઇના પાણીની તંગી વર્તાઇ રહી છે.
પીગળી રહેલા ગ્લેશિયરોની સમસ્યા એશિયા પૂરતી જ સીમિત નથી, યુરોપમાં તો એ ઓર વકરી રહી છે. રિપોર્ટ અનુસાર ઉત્તર એશિયા, મધ્ય યુરોપ અને સ્કેન્ડિનેવિયન દેશોમાં રહેલા 80 ટકા ગ્લેશિયર વર્ષ 2100 સુધીમાં પીગળી જશે. સ્વિત્ઝર્લેન્ડ વિશેના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જન પર કાબુ ન મેળવવામાં આવ્યો તો આલ્પ્સ પર્વતોમાં રહેલા 90 ટકા ગ્લેશિયર આ સદીના અંત સુધીમાં પીગળી જશે. આ જ સ્થિતિ દક્ષિણ અમેરિકાની એન્ડિઝ પર્વતમાળા અને આફ્રિકાની પણ છે. આફ્રિકાના વિખ્યાત કિલિમાન્જારો પહાડોનો બરફ વર્ષ 1912 બાદ 80 ટકાથી વધારે પીગળી ગયો છે.
થોડા વખત પહેલા અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ જારી કરેલી તસવીરોમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે માલદીવ, માર્શલ આઇલેન્ડ, તવાલુ અને નાઉરુ જેવા કેટલાય દેશો સમુદ્રમાં ડૂબી જવાની સંભાવના છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર રહેલો બરફ પીગળી રહ્યો છે જેના કારણે વનસ્પતિ અને જીવજંતુઓની સેંકડો પ્રજાતિઓનું અસ્તિત્ત્વ જોખમમાં છે. અનેક દેશોએ સૂચન કર્યું હતું કે પેટ્રોલિયમ અને કોલસા જેવા પરંપરાગત બળતણોના ઉત્પાદન અને વપરાશનો ક્વોટા નક્કી કરવો જોઇએ કારણ એ આવા બળતણના કારણે જ પૃથ્વીનું તાપમાન વધારતા કાર્બન ડાયોકસાઇડ જેવા વાયુઓનું ઉત્સર્જન થાય છે. 1975 બાદ પૃથ્વીના તાપમાનમાં જે ચિંતાજનક વધારો થયો છે તેની પાછળ ગ્રીનહાઉસ ગેસો જ જવાબદાર હોવાનું દુનિયાના તમામ દેશોએ સ્વીકાર્યું છે.
પીગળતા ગ્લેશિયરોના કારણે દરિયાની સપાટી તો વધે જ છે, સાથે સાથે દરિયાકાંઠાનું ક્ષરણ પણ થાય છે. સમુદ્રોના વધી રહેલા તાપમાનના કારણે સમુદ્રી વાવાઝોડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પીગળતા ગ્લેશિયરોના કારણે મહાસાગરોના પ્રવાહો બદલાય છે જેના કારણે દુનિયાભરનું ઋતુચક્ર પણ બદલાઇ રહ્યું છે. પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જો ગ્રીન હાઉસ ગેસોનો ઉપયોગ આજે બંધ કરી દેવામાં આવે તો પણ પરિસ્થિતિ સામાન્ય થતાં 200 વર્ષ લાગી જાય એમ છે. ધરતી બચાવવાનો સમય આવી ગયો છે અને હવે એમાં વિલંબ થયો તો આપણું અસ્તિત્ત્વ નાબૂદ થવામાં વધારે સમય નહીં લાગે.
માણસની ગતિવિધિઓના કારણે નીકળનાર પ્રદૂષણ ખાસ કરીને કાર્બન ઉત્સર્જનની અસર વાયુમંડળમાં સદીઓ સુધી રહે છે. જેના કારણે વૈશ્વિક ગરમી વધી રહી છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રી જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જો સતત આ પ્રકારે કાર્બન ઉત્સર્જન થતુ રહ્યુ તો મુંબઈ સહિત એશિયાના 50 શહેર સમુદ્રી પાણીમાં ડૂબી જશે. આ 50 શહેર ચીન, ભારત, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયેટનામથી હશે. આ ખુલાસો એક નવા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ચીન, ભારત, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયતનામ કોલસા આધારિત પ્લાન્ટ બનાવવામાં વૈશ્વિક સ્તરે સૌથી આગળ છે. આ દેશોની આબાદી પણ વધારે છે. તેથી વૈજ્ઞાનિકોને આશંકા છે કે ગ્લોબલ વોર્મિંગની સૌથી ખરાબ અસર આ દેશોને જોવા મળશે. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવુ પડશે. જમીનનો દસમો ભાગ સમુદ્રી પાણીમાં ડૂબી જશે. કેટલાક દ્વીપીય દેશ તો ખતમ થઈ ચૂક્યા હશે.
સમગ્ર દુનિયાના જે દેશ હાઈ-ટાઈડ વાળા ઝોનમાં આવે છે, ત્યાં સમુદ્રી જળસ્તર વધવાથી 15 ટકાની આબાદી પ્રભાવિત થશે. આ સ્ટડી તાજેતરમાં જ ક્લાઈમેટ કંટ્રોલ નામની સાઈટ પર પ્રકાશિત થઈ છે. જેમાં ભારતથી મુંબઈને જોખમમાં બતાવવામાં આવ્યા છે. જોકે આ સ્ટડીમાં એ જણાવાયુ છે કે દુનિયાભરના લગભગ 184 જગ્યા એવી છે જ્યાં સમુદ્રી જળસ્તર વધવાની સીધી અસર થશે. આ શહેરોનો મોટો ભાગ અથવા સમગ્ર શહેર પાણીમાં ડૂબી જશે. આ સ્ટડીમાં એ દાવો કરવામાં આવ્યો છે કે આગામી 200 વર્ષથી લઈને 2000 વર્ષની વચ્ચે ધરતીનો નકશો બદલાઈ ચૂક્યો હશે. જમીન ગાયબ થઈ ચૂકી હશે કેમ કે જો 1.5 ડિગ્રી સેલ્સિયસથી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધે છે તો સમગ્ર દુનિયામાં ગ્લેશિયર પીગળી જશે. હિમાલય જેવા પહાડો પર હાજર બરફ નીચલા વિસ્તારમાં પૂર લાવશે. જેના કારણે સમગ્ર દુનિયાનો મોટો ભાગ વધતા સમુદ્રી જળસ્તરમાં સમાઈ જશે. ગ્લોબલ વાર્મિંગની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. ઉનાળો તો આગ વરસાવે છે અને શિયાળામાં પણ જાણે ઉનાળો હોય એવું લાગે છે. આજે તમને આના લીધે દુનિયાના 7 ભાગોમાં આવનારા ચેન્જિસ જણાવીશું.
ગ્લોબલ વાર્મિંગને લીધે ગ્લેશિયર્સ સતત પીગળી રહ્યાં છે. જેના લીધે સી લેવલ ઘટી રહ્યું છે. અમેરિકાની એકેડમી ઓફ સાયન્સે દુનિયાના 7 શહેરો પર ગ્લોબલ વાર્મિગની કેવી અસર હશે તે બતાવતા ફોટોઝ રીલિઝ કર્યાં છે. જેમાં તેમણે ટેમ્પરેચરમાં 2-4 ડિગ્રી વધારાને શામેલ કર્યો છે. આ એકેડમીના દાવાઓને માનીએ તો માત્ર 2 ડિગ્રીનો પણ વધારો થાય તો ગેટ વે ઓફ ઇન્ડિયાની ચારે તરફ પાણી ભરાઈ જશે. એથી એક સ્ટેપ આગળ જો 4 ડિગ્રીનો વધારો થયો તો મુંબઈ અરેબિયન સીમાં સમાઈ જશે. આ શહેરો પણ પાણીમાં ડુબી ગયા છે, જેમાં ઈટાલીના બાયા, મિસ્ત્રના થોનિસ હેરાક્લિઓન, ઈન્ગલેન્ડનું ડર્વેંટ, આર્જેન્ટિનાનું વિલા એપેક્યૂએન, જમૈકાનું પોર્ટ રૉયલ જેવા શહેરો આજે જળમગ્ન છે. માલદીવ, માર્શલ આઇલેન્ડ, તવાલુ અને નાઉરુ જેવા કેટલાય દેશો સમુદ્રમાં ડૂબી જવાની સંભાવના છે. હવે જોઈએ આગળ શું થાય છે. જો મુંબઈ અને ચેન્નઈ પાણીમાં ડુબી જશે તો ભારતમાં હાહાકાર મચી જશે, કારણ કે મુંબઈ અને ચેન્નઈ ભારતના અર્થતંત્રના મહત્વના શહેરો છે.
આ પણ વાંચો: spy information/દલાઈ લામાની જાસૂસી પાછળ ચીનનું મોટું ષડયંત્ર, પોતાના ઘણા જાસૂસોને ભારતમાં છોડ્યા