ઝારખંડની રાજધાની રાંચીથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં જન્મજાત હૃદય રોગથી પીડિત 6 મહિનાના બાળકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ પછી, બે મુસાફરોએ બાળકની મદદ કરી અને તેનો જીવ બચાવ્યો. બાળકને તકલીફ થવાનું શરૂ થયા પછી, ક્રૂએ તાત્કાલિક અનાઉન્સ કરી અને પૂછ્યું કે શું કોઈ ડૉક્ટર મુસાફરી કરી રહ્યો છે જે આ બાળકને મદદ કરી શકે. આ પછી, બે મુસાફરો આગળ આવ્યા અને દેવદૂત બનીને બાળકનો જીવ બચાવ્યો.
IAS અધિકારીએ બાળકનો જીવ બચાવ્યો
ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી ડૉ. નીતિન કુલકર્ણી અને રાંચી સદર હોસ્પિટલના ડૉક્ટર દ્વારા બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો, તેમણે મળીને બાળકની સારવાર કરી હતી. તમને જણાવી દઈએ કે IAS ઓફિસર નીતિન કુલકર્ણીએ પણ મેડીકલનો અભ્યાસ કર્યો છે અને હાલમાં તે ઝારખંડના રાજ્યપાલના પ્રિન્સિપલ સેક્રેટરી છે.
પ્લેનમાંથી ઉતર્યા બાદ આપવામાં આવ્યો ઓક્સિજન સપોર્ટ
તમને જણાવી દઈએ કે એક કલાક પછી જ્યારે પ્લેન નવી દિલ્હીમાં લેન્ડ થયું ત્યારે મેડિકલ ટીમે બાળકને પોતાની સારવાર હેઠળ લઇ લીધો અને તેને ઓક્સિજન ‘સપોર્ટ’ આપ્યો. બાળકના માતા-પિતા તેને હૃદય સંબંધિત બિમારીની સારવાર માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં લાવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડિગો પ્લેન ટેકઓફ થયાના લગભગ 20 મિનિટ બાદ ક્રૂએ ઈમરજન્સી જાહેર કરી અને એક બાળકની મદદ માટે પ્લેનમાં મુસાફરી કરી રહેલા ડોક્ટરોની મદદ માંગી. આ પછી રાંચીની સદર હોસ્પિટલના ડૉ. નીતિન કુલકર્ણી અને ડૉ. મોઝમ્મિલ ફિરોઝ મદદ માટે આગળ આવ્યા.
ફ્લાઇટમાં બાળકોના ઓક્સિજન માસ્ક હાજર ન હતા
ડૉ. નીતિન કુલકર્ણીએ કહ્યું કે, ‘જ્યારે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે તેની માતા રડવા લાગી. મેં અને ડૉ.મોઝમ્મિલે બાળકની સંભાળ લીધી. પુખ્ત માસ્ક દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો કારણ કે બોર્ડ પર કોઈ શિશુ માસ્ક ઉપલબ્ધ નહોતા. અમે તેના મેડિકલ રેકોર્ડ તપાસ્યા અને જાણવા મળ્યું કે બાળક જન્મજાત હૃદયની બિમારીથી પીડિત છે. તેના માતા-પિતા તેને સારવાર માટે એઈમ્સમાં લઈ જતા હતા.
તેમણે જણાવ્યું કે દવાની કીટમાંથી થિયોફિલિન ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું અને માતા-પિતા પાસે ડેક્સોના ઈન્જેક્શન પણ હતું, જેણે સારવારમાં ઘણી મદદ કરી હતી. ઈન્જેક્શન અને ઓક્સિજન આપ્યા બાદ બાળકની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. તેણે કહ્યું કે પ્રથમ 15-20 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ અને તણાવપૂર્ણ હતી. આખરે તેની આંખો સામાન્ય થઈ ગઈ. તેમણે કહ્યું કે એરક્રાફ્ટ ક્રૂ પણ ખૂબ મદદગાર હતો અને તાત્કાલિક સહાય પૂરી પાડી હતી. સવારે 9.25 વાગ્યે ફ્લાઈટ અહીં લેન્ડ થઈ અને મેડિકલ ટીમ બાળકને ઓક્સિજન સપોર્ટ આપવા પહોંચી.
સોશિયલ મીડિયા પર બંને ડોક્ટરોની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર IAS ઓફિસર નીતિન કુલકર્ણી અને ડૉ.મોઝમ્મિલ ફિરોઝના વખાણ થઈ રહ્યા છે. એક સહ-મુસાફરે બાળકનો જીવ બચાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર બંને ડૉક્ટરોને અભિનંદન આપ્યા. એએસ દેવલ નામના યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘આજે મેં ઈન્ડિગોમાં એક વ્યક્તિને છ મહિનાના બાળકનો જીવ બચાવતા જોયો. ઝારખંડમાં ગવર્નરના આવાસ પર તૈનાત IAS ડૉ. નીતિન કુલકર્ણીએ ડૉક્ટરની ભૂમિકા ભજવી અને બાળકનો જીવ બચાવ્યો. સાહેબ તમને સલામ.
આ પણ વાંચો:Shocking !/ભેંસ ગળી ગઈ અઢી તોલા સોનાનું મંગળસૂત્ર, ડોક્ટરે પેટ ચીરીને બહાર કાઢ્યું, આવ્યા 65 ટાંકા
આ પણ વાંચો:Lal Bahadur Shastri Jayanti/લોકો પર લાઠીચાર્જ નહીં, વોટર કેનનના ઉપયોગના પ્રણેતા
આ પણ વાંચો:Uttar Pradesh/જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ગોળી મારીને હત્યા
