હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના બતસેરી ખાતેના સાંગલા-ચિતકુલ રોડ પર રવિવાર બપોરે ભૂસ્ખલન થતાં પથ્થોરો એક પર્યટકના વાહન પર પડયા હતા અને અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર નવ પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક સ્થાનિક વ્યક્તિ અને બે પ્રવાસીઓ ઘાયલ થયા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે પથ્થરો વાહન પર પડ્યા હતા તેના લીધે વાહન બીજા રસ્તા પર 600 મીટર નીચે પડી ગયું હતું.
મૃતકોમાં રાજસ્થાનના 4, છત્તીસગઢના બે, મહારાષ્ટ્ર અને દિલ્હીથી એક-એક પર્યટક છે. એકની ઓળખ થઈ નથી. તમામ પ્રવાસીઓ ટ્રાવેલ એજન્સીના વાહનમાં કિન્નૌરની મુલાકાતે દિલ્હી આવ્યા હતા. પહાડી પરથી મોટા પથ્થરો બટસેરી ખાતે બાસપા નદી પર બાંધવામાં આવેલ 120 મીટર લાંબા પુલ પર પડતા પુલ પણ ધરાશાયી થઇ ગયો હતો.
આ અકસ્માત એ જ સ્થળે બન્યો હતો જ્યાં એક દિવસ પહેલા પહાડ પરથી પથ્થરો પડયા હતા અને પ્રવાસીઓની કાર પર પથર પડયા હતાં, અંદર બેઠેલા લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. વહીવટી તંત્રએ પત્થરો હટાવડાવ્યા હતા અને રસ્તો પુન ચાલુ કરાવ્યો હતો, અને બીજા દિવસે અકસ્માત સર્જાયો હતો. અહીં કોઈ પોલીસ કર્મચારી હાજર નહોતા.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભયાનક ભૂસ્ખલન બાદ નવ પ્રવાસીઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટ કરીને કોવિંદે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઈજાગ્રસ્તોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના પણ કરી હતી. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, સીએમ જય રામ ઠાકુર, માહિતી અને માસ કોમ્યુનિકેશન પ્રધાન અનુરાગ ઠાકુરે પણ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
