Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં શિયાળા (winter)ની શરૂઆત સાથે જ વાયુ પ્રદૂષણ (Air Pollution)ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 190થી ઉપર નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે ચિંતાજનક માનવામાં આવે છે. થલતેજમાં 196 AQI, નારોલ ગામમાં 195, ઇસનપુરમાં 193, કઠવાડામાં 190, એરપોર્ટ રોડ અને ગ્યાસપુરમાં 189 AQI નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે અમદાવાદની હવા હવે ‘નબળી’ નહીં પરંતુ ‘હાનિકારક’ શ્રેણીમાં પ્રવેશી ચૂકી છે.
)
શિયાળામાં કેમ વધે છે વાયુ પ્રદૂષણ (Air Pollution)?
તબીબો જણાવે છે કે શિયાળાની ઋતુમાં હવામાન (weather)ની પરિસ્થિતિ એવી બને છે કે પ્રદૂષકો હવા (air pollutants)માં ઉપર ઉડવાને બદલે જમીન નજીક જ અટકી રહે છે. ઠંડી હવા, ધુમ્મસ અને ઓછી પવનગતિને કારણે વાહનો, ઉદ્યોગો અને બાંધકામમાંથી નીકળતો ધુમાડો શ્વાસમાં સીધો જાય છે. ધૂળ, સૂક્ષ્મ કણો (PM2.5, PM10) અને ઝેરી વાયુઓ શ્વાસનળીમાં બળતરા પેદા કરે છે, જે ફેફસાંની ક્ષમતા ઘટાડે છે.
COPD કેસોમાં ચિંતાજનક વધારો
શિયાળાના પ્રદૂષણની સીધી અસર ફેફસાં પર પડી રહી છે. પલ્મોનોલોજિસ્ટ (pulmonologist)ના જણાવ્યા અનુસાર, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) ના કેસોમાં કોરોના પછીના વર્ષોમાં લગભગ 30 ટકાનો વધારો નોંધાયો છે. ચિંતાની વાત એ છે કે હવે 40થી 50 વર્ષની ઉંમરના લોકોમાં પણ COPD ના લક્ષણો જોવા મળી રહ્યા છે.
આ લક્ષણોમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં જકડાવ, થાક લાગવો અને શારીરિક ક્ષમતામાં ઘટાડો સામેલ છે. પહેલાં COPD મુખ્યત્વે ધુમ્રપાન કરનારાઓમાં જોવા મળતી હતી, પરંતુ હવે વાયુ પ્રદૂષણ (Air Pollution)ને કારણે ધુમ્રપાન ન કરનારા યુવાનોમાં પણ આ રોગ જોવા મળી રહ્યો છે.
COPD હવે વૈશ્વિક સ્તરે ત્રીજો મોટો મૃત્યુકારક રોગ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અહેવાલ મુજબ, વિશ્વભરમાં મૃત્યુ માટેના કારણોમાં COPD હવે ચોથા ક્રમેથી વધીને ત્રીજા ક્રમે આવી ગયું છે. નવેમ્બર મહિનો વર્લ્ડ COPD અવેરનેસ મન્થ તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ લોકોને આ ગંભીર શ્વસન રોગ વિશે જાગૃત કરવાનો છે.
વહેલા ટેસ્ટિંગથી બચાવી શકાય છે ફેફસાં
પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે COPDનું વહેલું નિદાન અત્યંત મહત્વપૂર્ણ છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) એક સરળ અને ઝડપી તપાસ પ્રક્રિયા છે, જે ફેફસાં કેટલી સારી રીતે કામ કરે છે તેની સ્પષ્ટ માહિતી આપે છે. ઘણી વખત દર્દીઓ જ્યારે તપાસ માટે આવે ત્યારે ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ચૂક્યું હોય છે.
તબીબો સમજાવે છે કે જેમ ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરને દવાઓથી નિયંત્રિત કરી શકાય છે, તેમ યોગ્ય દવા અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર દ્વારા COPD ને પણ અસરકારક રીતે મેનેજ કરી શકાય છે.
શિયાળામાં ફેફસાંને કેવી રીતે સુરક્ષિત રાખશો?
ડોક્ટરો સલાહ આપે છે કે:
ઘરની બહાર જતાં માસ્ક અવશ્ય પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય તેવા વિસ્તારોમાં અનાવશ્યક જવું ટાળવું જોઈએ, નિયમિત આરોગ્યની ચકાસણી અને PFT ટેસ્ટ કરાવવો, ધુમ્રપાન અને પ્રદૂષિત વાતાવરણથી દૂર રહેવું, ઘરમાં એર પ્યુરિફાયર અથવા હવા વંટોળની યોગ્ય વ્યવસ્થા રાખવી જોઈએ.
અમદાવાદમાં વધતું વાયુ પ્રદૂષણ (Air Pollution) હવે માત્ર પર્યાવરણનો મુદ્દો નથી રહ્યો, પરંતુ ગંભીર જાહેર સ્વાસ્થ્ય સમસ્યા બની ગયું છે. શિયાળામાં AQI ના ઊંચા સ્તર ફેફસાં માટે ખતરાની ઘંટડી સમાન છે. સમયસર જાગૃતિ, સાવચેતી અને તપાસ દ્વારા જ આ ગંભીર પરિસ્થિતિમાંથી બચી શકાય છે.
આ પણ વાંચો:અમદાવાદની હવા ઝેર બની, રાયખડમાં AQI 308, બોપલમાં 247… શ્વાસ લેવું પણ મુશ્કેલ!
આ પણ વાંચો:ગુજરાતમાં પ્રદૂષણથી શ્વાસની તકલીફ: દરરોજ 300 કેસ, અમદાવાદમાં AQI ખરાબ
આ પણ વાંચો:મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું નોંધાયું, અનેક સ્થાનો પર AQI 200 કરતાં વધુ
