New Delhi News : વેદાંત ગ્રુપ (Vedanta Group) ના ચેરમેન અને ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેમના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં સ્કીઇંગ દરમિયાન થયેલા અકસ્માત બાદ અવસાન થયું છે. તેઓ માત્ર 49 વર્ષના હતા. આ ઘટનાથી અગ્રવાલ પરિવાર સાથે-સાથે ઉદ્યોગ જગત અને તેમને ઓળખતા દરેક વ્યક્તિમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
અનિલ અગ્રવાલે પોતે સોશિયલ મીડિયા મારફતે આ દુઃખદ સમાચાર શેર કર્યા હતા. તેમણે આ દિવસને પોતાના જીવનનો સૌથી દુઃખદ દિવસ ગણાવ્યો હતો અને ભાવુક શબ્દોમાં લખ્યું હતું કે “પિતાએ પોતાના દીકરાને આ રીતે વિદાય આપવી પડે તે અસહ્ય છે.”
મળતી માહિતી મુજબ, અગ્નિવેશ અગ્રવાલ એક મિત્ર સાથે અમેરિકામાં સ્કીઇંગ કરવા ગયા હતા. ત્યાં તેમને ગંભીર અકસ્માત થયો હતો. ત્યારબાદ તેમને ન્યૂ યોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારને તેમની તબિયત સુધરશે તેવી આશા હતી, પરંતુ સારવાર દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું.
અગ્નિવેશ અગ્રવાલ વેદાંત ગ્રુપ (Vedanta Group) ની સહાયક કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL)ના બોર્ડના સભ્ય હતા
૪૯ વર્ષીય અગ્નિવેશ અગ્રવાલ વેદાંત ગ્રુપ (Vedanta Group) ની સહાયક કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL)ના બોર્ડના સભ્ય હતા. અનિલ અગ્રવાલને બે સંતાન હતા—સ્વર્ગસ્થ પુત્ર અગ્નિવેશ અને પુત્રી પ્રિયા અગ્રવાલ. પ્રિયા અગ્રવાલ વેદાંત ગ્રુપ (Vedanta Group) ના બોર્ડમાં સભ્ય છે તેમજ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના ચેરપર્સન તરીકે સેવા આપી રહ્યા છે.
અગ્નિવેશ અગ્રવાલનો જન્મ 3 જૂન, 1976ના રોજ પટનામાં થયો હતો. તેમણે અજમેરની પ્રતિષ્ઠિત માયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમને બોક્સિંગ અને ઘોડેસવારીનો વિશેષ શોખ હતો. તેમણે ફુજેરાહ ગોલ્ડ કંપનીની સ્થાપના કરી હતી અને હિન્દુસ્તાન ઝિંકના ચેરમેન તરીકે પણ મહત્વની જવાબદારી નિભાવી હતી.
