રાજકોટમાં (Rajkot) તાજેતરમાં થયેલી 120 કિલો ચાંદીની ચકચારી ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કરેલી કાર્યવાહી દરમિયાન એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે અને સમગ્ર ચોરીના કૌભાંડના મૂળ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. તેની ધરપકડ દરમિયાન પોલીસને 40 કિલો ચાંદીનો મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મળી છે. આ ચાંદી રાજકોટમાંથી ચોરી કરીને મહેસાણા ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચે અગાઉથી જ વોચ ગોઠવી રાખી હતી અને યોગ્ય સમયે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો.
આ ચોરીના કેસમાં અન્ય એક મુખ્ય આરોપી કમલેશ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે આ ચોરી પાછળ એક મોટી ગેંગનો હાથ હોઈ શકે છે, જે વિવિધ જિલ્લાઓમાં ચોરી કરેલી દાંગીનાઓ વેચવાના રેકેટ સાથે સંકળાયેલ છે. તેથી આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બે અલગ-અલગ ટીમો બનાવી સુરત અને વડોદરા ખાતે સઘન શોધખોળ શરૂ કરી છે. તપાસ દરમિયાન વધુ આરોપીઓ અને ચોરીના નેટવર્ક વિશે મહત્વની માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ચોરાયેલો મુદ્દામાલ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને કયા વેપારીઓ અથવા દલાલો સાથે આરોપીઓ સંપર્કમાં હતા, તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ટેક્નિકલ અને ફીલ્ડ તપાસ બંને હાથ ધરવામાં આવી છે. કોલ ડીટેલ રેકોર્ડ, વાહન ટ્રેકિંગ અને અન્ય ગુપ્તચર માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.
આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો,મૃતકના ખિસ્સા માંથી રૂ.19,800 ગાયબ
આ પણ વાંચો:રાજકોટમાં આંગણવાડી ફૂડ પેકેટની ચોરીનો પ્રયાસ નિષ્ફળ, 36 બાચકા જપ્ત
આ પણ વાંચો:રાજકોટના વીંછિયામાં લાખોના વાયરની ચોરી કરનારા ઝડપાયા
