નવી દિલ્હીઃ કેન્દ્રએ તાજેતરમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)માં પ્રતિ લિટર ત્રણ રૂપિયાથી વધુ વધારો (Price Rise) કર્યો છે. આ વધારો ગુરુવારે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઇંધણ (Fuel) પુરવઠામાં તંગી સર્જાઈ છે, જેના સીધા અસરરૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિનો ભાર હવે સામાન્ય ગ્રાહકો પર પણ પડી રહ્યો છે.

Petrol-Dieselના ભાવ હજી વધુ વધી શકે
શુક્રવારે સવારે 6 વાગ્યાથી દિલ્હી સહિત દેશભરમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 3.14 રૂપિયાનો વધારો થતાં તેની કિંમત હવે 97.77 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. બીજી તરફ ડીઝલમાં 3.11 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થતાં તેનો ભાવ 90.67 રૂપિયા સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે વર્ષ 2022 પછી પહેલી વખત ઇંધણના ભાવમાં આ પ્રકારનો વધારો નોંધાયો છે.
ખાડીયુદ્ધ મધ્યમ વર્ગને ખાડામાં નાખશેઃ પેટ્રોલ પંપ ડીલર અરવિંદ ઠક્કર
આ અંગે અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. હાલમાં મધ્યપૂર્વમાં યુદ્ધના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં યુદ્ધના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગયા મહિને જ સરકારે ઇંધણના વેચાણમાં 30,000 કરોડ રૂપિયાનો ફટકો સહન કર્યો હતો.

હાલના ભાવવધારા પછી પણ સરકારને જાય છે નુકસાન
હાલમાં આ ભાવ વધારા પછી પણ પેટ્રોલના વેચાણમાં સરકારને લિટરે 20 રૂપિયાનું નુકસાન જઈ રહ્યુ છે, જ્યારે ડીઝલના વેચાણમાં લિટરે રૂ. 40નું નુકસાન જઈ રહ્યું છે. તેની સામે સરકારે પ્રતિ લિટર ફક્ત ત્રણ રૂપિયાનો જ વધારો કર્યો છે. આ સંજોગોમાં જો યુદ્ધ હજી પણ જારી રહ્યું તો સરકાર નુકસાન ઘટાડવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજી પણ વધારો કરી શકે છે.

યુદ્ધના પગલે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ જાળવી રાખવામાં કરોડો રૂપિયાની ખોટ ખાધી છે. આગામી દિવસોમાં ભાવમાં હજી પણ વધારો થાય તો આશ્ચર્ય પામવા જેવું નથી. જો કે બધા માનતા જ હતા કે બંગાળમાં ચૂંટણી પૂરી થશે એટલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો આવવાનો જ છે. આના પછી હવે ગેસના બાટલાના ભાવમાં પણ વધારો થઈ શકે છે.
