Mahesana News: મહેસાણાના કડી તાલુકાના વડાવી (તરસણીયા) ગામમાં પ્રાથમિક શાળા, મંદિર અને ગામના જાહેર ઉપયોગની જમીનને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ગામના આગેવાનો અને સ્થાનિક લોકોએ જમીનના વેચાણ દસ્તાવેજોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે બે NRI સહિત 14 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર મામલો?
આરોપ છે કે ગામની સીમમાં આવેલી કેટલીક જમીનોના વેચાણ દસ્તાવેજોમાં ખોટી માહિતી અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને માલિકી બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવાદિત જમીનમાં તરસણીયા પ્રાથમિક શાળા, નીલકંઠ મહાદેવ મંદિર, તળાવડી, આંગણવાડી, રહેણાંક પ્લોટ અને વર્ષો જૂનાં વૃક્ષોનો સમાવેશ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
દસ્તાવેજોમાં ગેરરીતિનો આરોપ
ફરિયાદ અનુસાર, જમીનના મૂળ માલિકોના ફોટોગ્રાફ્સ અને વિગતોને બદલે અન્ય વ્યક્તિઓની માહિતીનો ઉપયોગ કરીને વેચાણ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી. આ મામલે ગામના આગેવાનો દ્વારા વાંધા અરજી રજૂ કર્યા બાદ તપાસ શરૂ થઈ હતી.
પોલીસ તપાસ બાદ ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ, કડી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા વેચાણ દસ્તાવેજોની તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ બાબતો સામે આવી હતી. ત્યારબાદ બાવલું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 14 આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ગામલોકોમાં રોષ
સ્થાનિક લોકોનું કહેવું છે કે ગામની જાહેર ઉપયોગની જમીન પર ખાનગી માલિકીનો દાવો ઉભો કરવાનો પ્રયાસ થયો હતો. ગામલોકોએ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આ પણ વાંચો : પૂર્વ મામલતદાર CIDનીજાળમાં, ₹1.29 કરોડના નુકસાનનો આરોપ
આ પણ વાંચો : સુરતમાં નોટિસ વિના ડિમોલેશનને લઈને વિવાદ
