Gandhinagar News/ પીએમ મોદીને સ્વ. પીએમ નેહરુનો રેકોર્ડ તોડવા બદલ સીએમ ભુપેન્દ્ર પટેલે આપ્યા અભિનંદન

ગુજરાતના સીએમ તરીકે રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સળંગ 12 વર્ષ સુધી પીએમ પદે રહીને વડાપ્રધાન નેહરુના સૌથી વધુ સમય સુધી ચૂંટાયેલા પીએમ રહેવાના વિક્રમને વટાવ્યો તે નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતના સીએમ તરીકે રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સળંગ 12 વર્ષ સુધી પીએમ પદે રહીને વડાપ્રધાન નેહરુના સૌથી વધુ સમય સુધી ચૂંટાયેલા પીએમ રહેવાના વિક્રમને વટાવ્યો તે નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના સૌ નાગરિકો વતી આપને વડાપ્રધાન પદના 12 વર્ષના સતત અને સફળ કાર્યકાળ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.  આપશ્રીનો આ કાર્યકાળ દુનિયામાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધારનારો રહ્યો છે.દુનિયાના દેશોમાં આપને મળેલા સન્માન પુરસ્કારોથી દરેક ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલી છે. સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા જ્યારે આપના નેતૃત્વમાં ભારતે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો ત્યારે દેશના દરેક નાગરિકોને ગૌરવની લાગણી થઈ છે.

આપશ્રીએ પોતાના પહેલા પ્રવચનમાં કહ્યું હતું કે આપની સરકાર દેશના ગરીબ, દલિત, પીડીત, શોષિત, વંચિત માટેની સરકાર છે. અંત્યોદય એ જ આપની સરકારનું લક્ષ્ય અને ‘નાગરિકો દેવો ભવ:’ સરકારનો અભિગમ બની રહ્યો. આપશ્રીએ આપેલો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ કાર્યમંત્ર એક રાષ્ટ્રીય સંકલ્પ બન્યો છે. તેના કારણે જ સરકારના બાર વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનક્લાયણના બની રહ્યા છે. આપશ્રીએ દેશનું સેવા દાયિત્વ સંભાળ્યા બાદ દેશમાં આત્મવિશ્વાસ ઊભો થયો અને લોકોને અસરકાર સરકારની અનુભૂતી થઈ છે.દેશમાં બનેલી કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓના કેન્દ્રમાં દેશનો સામાન્ય માનવી જ રહ્યો છે.

વિકાસની અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ જોઈને આજે દેશમાં જન જન બોલી રહ્યાં છે ‘મોદી હે, તો મુમકીન હૈ’.   કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચ સાથે જનજન સુધી પહોંચાડીને દેશમાં પહેલી વખત ‘ઇઝ ઓફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ રહી છે.  દેશમાંથી 25 કરોડ લોકો આપના દ્રષ્ટીવંત નેતૃત્વમાં ગરીબીમાંથી બહાર આવ્યાં છે. જે એક ઐતિહાસિક સિદ્ધિ છે.   આ બાર વર્ષમાં ગરીબ, ખેડૂત, મહિલા, યુવા અને મધ્યમવર્ગના જીવનને વધુ સુખાકારી અને સશક્ત બનાવવા માટે અનેક ઐતિહાસિક પહેલો કરવામાં આવી છે.   યુવાનોને જોબ ગીવર બનાવવાના મંત્ર સાથે શરૂ થયેલી સ્ટાર્ટ અપ યાત્રાના કારણે બાર વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટ અપ ઇકો સીસ્ટમ બની છે.   મેક ઇન ઇન્ડીયા અને આત્મનિર્ભર ભારત જેવા કાર્યક્રમોથી આપણે આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.

ગુજરાત તો આપની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. આપશ્રીના દ્રષ્ટીવંત નેતૃત્વનો લાભ ગુજરાતને 25 વર્ષ કરતાં વધુ સમયથી મળી રહ્યો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને હવે વિકસિત ભારતના લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આપશ્રીએ વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળતાની સાથે જ રાજ્યને ડબલ એન્જિન સરકારનું બળ મળ્યું છે અને ગુજરાતે વિકાસનાં અનેક નવા આયામો સર કર્યા છે.ગુજરાત માટે આપનો વિશેષ સ્નેહ અને વિકાસપ્રત્યેની પ્રતિબદ્ધતાએ અનેક ઐતિહાસિક ભેટો આપી છે.આપે વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના આડેના અવરોધો દૂર કરીને ગેટ મુકવાની પરવાનગી આપીને ગુજરાતના લોકોની વર્ષો જૂની પડતર માંગણીનો સુખદ ઉકેલ જળક્રાંતિનો ઈતિહાસ સર્જીને લાવી દીધો છે.

આપે ગુજરાતના પનોતા પુત્ર તરીકે આ પ્રાણ પ્રશ્ન તો હલ કર્યો જ સાથો સાથ સૌની યોજના અને નર્મદા કેનાલના વિશાળ નેટવર્કથી સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા વિસ્તારોમાં હરિત ક્રાંતિ પણ આવી છે. એક રાજાનું સુખ હરહંમેશ પ્રજાના સુખમાં સમાહિત છે. આપણાં શાસ્ત્રો પણ આ જ સંસ્કાર આપે છે.આપશ્રીએ આ જ સંસ્કારોના દર્શન કરાવતાં ગુજરાતની પ્રજાના સુખમાં પોતાનું સુખ અને દુ:ખમાં પોતાનું દુ:ખ માન્યું છે.   આપની આ જ પવિત્રતાના કારણે કુદરત પણ હંમેશા રાજ્ય પર મહેરબાન રહી છે અને રાજ્યમાં દુકાળ, અછત કે તંગી જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું નથી.

એક સમયે ભૂકંપના મારથી તહસ-નહસ થઈ ગયેલા ગુજરાતે આપના દ્રષ્ટીવંત અને અસરકારક નેતૃત્વથી આજે આધૂનિક વિકાસની હરણફાળ ભરી છે. આપે શરૂ કરાવેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટથી ગુજરાત ગેટ વે ટુ ધ ફ્યુચર બન્યુ છે. રિજયોનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સથી સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા આપનો વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલ તેમજ આત્મનિર્ભર ભારતનો મંત્ર ગુજરાતે સુપેરે ચરિતાર્થ કર્યો છે.   વિશ્વનું સૌથી ઊંચું સ્મારક સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપની પ્રેરણાથી એકતાનગરમાં નિર્માણ પામ્યુ છે અને એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબના સંદેશને વિશ્વભરના લોકો સુધી પહોંચાડી રહ્યું છે. આપે અમદાવાદને સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની ભેટ આપી છે અને પૂજ્ય બાપૂના સાબરમતિ આશ્રમનું પણ આપના જ માર્ગદર્શનમાં રિડેવલપમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આપની પ્રેરણાથી નિર્માણ પામેલુ ગિફ્ટ સીટી ફિન્ટેક અને ઈનોવેશનનું હબ બન્યું છે અને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયોન ભારતના પ્રથમ ગીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહ્યું છે.   દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, પીએમ ગતિશક્તિ યુનિવર્સિટી, નેشانલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી વર્લ્ડ ક્લાસ સુવિધા આપના જ માર્ગદર્શનથી ગુજરાતને મળી છે.   રિન્યુએબલ એનર્જી અને સોલાર એનર્જી ક્ષેત્રો હવે વૈશ્વિક ચર્ચાનો વિષય બની ગયા છે ત્યારે આપના વિઝનથી કચ્છમાં સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, મોઢેરા સોલાર વિલેજ અને પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજનામાં દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ઈન્સટોલેશનથી ગુજરાત અગેસર બન્યું છે.  ઉભરતા ક્ષેત્ર એવા સેમિકન્ડક્ટરના છ જેટલા પ્લાન્ટ સાથે ધોલેરા અને સાણંદ દેશના સેમિકોન હબ બનવા સંપૂર્ણ સજ્જ છે.

આપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટીવિટી, ગીન ફિલ્ડ એરપોર્ટ અને બુલેટ ટ્રેન તથા અમદાવાદને ધોલેરા સાથે જોડતા દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપીને ગુજરાતના વિકાસને વધુ વેગ આપ્યો છે.   વિકાસ ભી, વિરાસત ભીનો મંત્ર આપના માર્ગદર્શનમાં ગુજરાતમાં લોથલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ, સોમનાથ સ્વાભિમાન પર્વ, દ્વારકા, સોમનાથ, અંબાજી કોરિડોર, પાવાગઢના મહાકાળીધામનો પૂન: વિકાસ તથા પ્રાચિનતમ શહેર વડનગરમાં દેશના પ્રથમ આર્કિયોજીકલ એક્સિરિયન્સલ મ્યુઝિયમથી પાર પડ્યો છે.   જલ જીવન મિશન, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જ્વલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, સ્વચ્છ ભારત મિશન, પીએમ કિસાન સન્માન નિધિ, ગરીબ કલ્યાણ મેળાઓ અને પીએમ સ્વનિધિથી ગરીબોને આત્મનિર્ભર બનાવ્યા છે.   ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી અવસરે આપે આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસ માટે રૂ.2 લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાની ભેટ આપી છે. તેની સાથોસાથ ડિજિટલ ઈન્ડિયા જેવા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોથી આપે ગુજરાતના લાખો પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવી દીધું છે.

ગુજરાત રાજ્યની 2035માં ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે વિકસિત ગુજરાત @75ને સાકાર કરવા આપશ્રીના માર્ગદર્શનમાં એર્નિંગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે રોડમેપ પણ તૈયાર થયો છે. આજે દેશ “વિકસિત ભારત 2047”ના મહાસંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે આપના દિશા દર્શનમાં ગુજરાત પણ “વિકસિત ગુજરાત”ના લક્ષ્યને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.  પ્રત્યેક ભારતવાસીને અતુટ વિશ્વાસ અને ભરોસો છે કે, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આપની પ્રેરણા સદાસર્વદા માર્ગદર્શક બનશે. આપનું દ્રષ્ટિવંત નેતૃત્વ દેશને નવી સિદ્ધિઓના શિખરો સર કરાવતું રહે અને ભારત વિશ્વગુરુ બનવાનો સંકલ્પ સિદ્ધ કરે તેવી શુભકામનાઓ સાથે ફરી એકવાર, આપને સૌ ગુજરાતીઓ વતી 12 વર્ષના સફળ અને સતત સુશાસન માટે હાર્દિક અભિનંદન પાઠવું છું.


આ પણ વાંચો:આણંદના અડાસમાં બની રહેલો રેલવે ઓવરબ્રિજ ધરાશાયી, બાંધકામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચો: સ્વચ્છતા ફક્ત કાર્ય જ નહીં કાયમી સંસ્કાર બનેઃ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ટકોર

આ પણ વાંચો: ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયા મંદિરમાં ધજા મહોત્સવનો શુભારંભ