Bhavnagar News : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)નો ખતરો સતત વધી રહ્યો છે. હવે ભાવનગર જિલ્લામાં પણ આ વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. વલભીપુર તાલુકાના મેલાણા ગામમાં રહેતા 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત (Child Death)થયું હતું. લેબોરેટરી તપાસમાં બાળકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ના સંક્રમણથી થયું હોવાનીપુષ્ટિ થઈ છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બાળક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો અને પરિવાર સાથે મેલાણા ગામમાં ખેતી મજૂરી કરતો હતો. 6 જુલાઈએ તે જામનગરથી ગામે આવ્યો હતો. ત્યારબાદ તેને તાવ અને ચાલવામાં તકલીફ જેવી ફરિયાદો શરૂ થતાં પ્રથમ સ્થાનિક સ્તરે સારવાર અપાઈ હતી. સ્થિતિ ગંભીર બનતાં 8 જુલાઈએ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં 9 જુલાઈએ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus)ની પુષ્ટિ થતાં રાજ્યમાં આ વાયરસથી મૃત્યુ પામેલા બાળકોની સત્તાવાર સંખ્યા ચાર થઈ
બાળકના બ્લડ સેમ્પલ ગાંધીનગરની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. હવે મળેલા રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં રાજ્યમાં આ વાયરસથી મૃત્યુ પામેલા બાળકોની સત્તાવાર સંખ્યા ચાર થઈ છે. આ ઉપરાંત અન્ય કેટલાક બાળકોના મૃત્યુમાં પણ ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા હતા અને તેમની તપાસ ચાલી રહી છે.
ભાવનગરમાં કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે મેલાણા ગામમાં દવાનો છંટકાવ, આરોગ્ય સર્વે, ઘર-ઘર તપાસ અને અન્ય નિયંત્રણાત્મક કામગીરી શરૂ કરી છે. અધિકારીઓએ લોકોને ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
બીજી તરફ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દેવભૂમિ દ્વારકાના એક બાળક સહિત ત્રણ શંકાસ્પદ બાળદર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તેમના સેમ્પલની તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
ચાંદીપુરા વાયરસથી બચવા માટે શું કરવું?
- બાળકોને મચ્છર અને રેતીમાખીના કરડવાથી બચાવો.
- ઘરની આસપાસ સ્વચ્છતા રાખો અને પાણી ભરાઈ ન રહે તેની કાળજી લો.
- બાળકોને આખી બાંયના કપડાં પહેરાવો.
- મચ્છરદાની અથવા જીવાતથી બચાવતી જાળીનો ઉપયોગ કરો.
- તાવ, ઉલ્ટી, ખેંચ, બેભાન થવું અથવા ચાલવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરો.
- સ્વયં દવા લેવાના બદલે તાત્કાલિક તબીબી સલાહ લો.
આ પણ વાંચો:પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ, જિલ્લામાં કુલ 16 કેસ
આ પણ વાંચો:અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસની દહેશત: 2 વર્ષની બાળકીમાં લક્ષણો, આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર
આ પણ વાંચો:પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું મોત; મૃત્યુઆંક 4 પર પહોંચ્યો
