Ahmedabad Land Fraud Fake Death Certificate: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા વૃદ્ધને જમીનના કેસમાં ફસાવવા માટે જીવિત વ્યક્તિનું બનાવટી ડેથ સર્ટિફિકેટ તૈયાર કરી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેલા ગામની જમીન પચાવી પાડવાના પ્રયાસમાં આરોપી ખોડા રઘુનાથ દેસાઈએ પોતાના પિતા રઘુનાથ દેસાઈનું 15 એપ્રિલ 1985ના રોજ અવસાન થયું હોવાનું દર્શાવતું કથિત નકલી ડેથ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યું હતું. આ દસ્તાવેજના આધારે સરકારી કચેરીઓ તેમજ સબ-રજિસ્ટ્રાર સમક્ષ ખોટી રજૂઆતો કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સાણંદ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજો
જમીન પચાવવાના આ કથિત ષડયંત્રમાં 1991 દરમિયાન સાણંદ(Ahmedabad) સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નકલી અંગૂઠા અને સહીઓનો ઉપયોગ કરીને દસ્તાવેજો તૈયાર કરાયા હોવાનો આરોપ છે. આ દસ્તાવેજોમાં ખોટા ખેડૂતો અને જમીનમાલિકોને ઊભા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલામાં દિનેશ રામ પટેલ, જીવ આલુ ખોખર, નરેન્દ્રસિંહ અજીતસિંહ વાઘેલા, જમીન દલાલ ભાનુ વિજયસિંહ વાઘેલા અને કાળુ દેસાઈ સહિતના લોકોની સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વૃદ્ધ સામે જ નોંધાવી હતી ખોટી ફરિયાદ
કથિત કૌભાંડને છુપાવવા માટે 72 વર્ષીય નિવૃત્ત નૈમિષ પટેલ સહિત અન્ય લોકો સામે વર્ષ 2020માં બોપલ પોલીસ સ્ટેશનમાં(Ahmedabad) ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો પણ આરોપ છે. જોકે, પોલીસ તપાસ આગળ વધતા સમગ્ર મામલાની હકીકત બહાર આવી હતી. તપાસમાં રઘુનાથ દેસાઈનું 1985માં મૃત્યુ થયું હોવાનું દર્શાવતું પ્રમાણપત્ર શંકાસ્પદ હોવાનું સામે આવ્યું અને તે સમયે તેઓ જીવિત હોવાની હકીકત તપાસમાં સામે આવી હતી.
કોર્ટના આદેશ બાદ વૃદ્ધે નોંધાવી ફરિયાદ
પોલીસે આ સમગ્ર મામલે સાણંદ કોર્ટમાં(Ahmedabad) બી-સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. સુનાવણી બાદ કોર્ટે ‘બી-સમરી વિથ પ્રોસીક્યુશન’ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આદેશની પ્રમાણિત નકલ મેળવ્યા બાદ કથિત ખોટા કેસમાં ભોગ બનેલા નૈમિષ પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં ખોડા દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હવે સમગ્ર કથિત જમીન કૌભાંડ અને બનાવટી દસ્તાવેજોના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:કોર્પોરેટરના પુત્ર પર ભૂમિ પચાવી પાડવાનો આરોપ, અમદાવાદમાં કરોડોના જમીન કૌભાંડની તપાસ
આ પણ વાંચો:અમદાવાદમાં બનાવટી દસ્તાવેજથી કરોડોની જમીન હડપી, પિતા-પુત્રની મિલીભગત
આ પણ વાંચો:અમદાવાદના સોલામાં મોકાની જમીન વેચવાના નામે 41 કરોડની છેતરપિંડી
