આજે દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સન્માનિત અટલ બિહારી વાજપેયીનો ૯૩ મો જન્મ દિવસ છે. આ પ્રસંગે દેશભરમાંથી તેઓએ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. સાથે સાથે વારાણસી, કાનપુર, સુરત સહિત દેશના અનેક ભાગોમાં બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ, યુપીના ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ વાજપેયીના ઘરે પહોચ્યા હતા.
અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી શિક્ષક હતાં. તેમની માતા કૃષ્ણાજી હતાં. તેઓના પિતાજી મધ્ય પ્રદેશમાં શિક્ષક હતાં આથી તેમનો જન્મ ત્યાં થયો. પરંતુ ઉત્તર પ્રદેશ સાથે તેમનો રાજનીતિક લગાવ સૌથી વધુ રહ્યો હતો તેથી તેઓ પ્રદેશની રાજધાની લખનઉથી સાંસદ પણ રહ્યાં હતા.
અટલ બિહારી વાજપેયીના જીવનની વાત કરવામાં આવે તો તેમની ઓળખ એક કુશળ રાજનીતિજ્ઞ, પ્રશાસક, ભાષાવિદ્, કવિ, પત્રકાર તથા લેખક તરીકે કરવામાં આવે છે. અટલજી રાજનીતિમાં ઉદારવાદ અને સમતા તથા સમાનતાના સમર્થક ગણાય છે. તેમણે રાજનીતિને દળગત અને સ્વાર્થની વૈચારિકતાથી અલગ હટીને અપનાવી અને જીવનમાં ઉતારી હતી. તેમની કવિતાઓનું સંકલનમાં “હાર નહીં માનૂંગા, રાર નહીં ઠાનૂંગા” ખુબ ચર્ચામાં રહી હતી.
રાજનીતિમાં અટલજીની કાર્યક્ષમતા જોતા ધૂર વિરોધીઓ પણ તેમની વિચારધારા અને કાર્યશૈલીના કાયલ રહ્યાં હતા. રાજસ્થાનના પોખરણમાં પરમાણું પરિક્ષણ કરીને દુનિયાના સૌથી તાકાતવર દેશ અમેરિકા સાથે અન્ય દેશોને પણ ભારતની શક્તિનો અહેસાસ કરાવ્યો હતો.