છેલ્લા કેટલાય વર્ષોથી લાખો પર્યટકો અને ખાસ કરીને અમદાવાદીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા “કાંકરિયા કાર્નિવલ” નો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ આ કાર્નિવલનું આયોજન હેરિટેજ થીમ પર કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે કાંકરિયા જ નહીં ૫રંતુ ભદ્ર પ્લાઝા અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્નિવલમાં બાળકો જ નહીં મોટી ઉંમરના લોકો પણ મનોરંજન માણી શકે તે માટે આકર્ષણના વિવિધ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. સાથે સાથે “અમે ઉત્સવપ્રેમી અમદાવાદી” થીમ પર ૭૦ મિનિટનું ઓડિયો વિઝ્યુઅલ પર્ફોમન્સ પણ રજુ કરવામાં આવશે જેમાં ૧૨૫ કલાકારો ભાગ લેશે. બીજી બાજુ કાંકરિયા કાર્નિવલને લઇ સુરક્ષાનો સઘન બંધોબસ્ત કરવામાં આવ્યો છે.