જમ્મુ,
શનિવારે સતત ત્રીજા દિવસે પણ ભારત-પાકિસ્તાન સરહદ પર ફાયરીંગ યથાવત છે. અનેક વિસ્તારમાં પાકિસ્તાનને યુદ્ધવિરામનો ભંગ તોડવો ભારે પડ્યો છે. સરહદ પર અરનિયા, સુચેતગઢ, આરએસપુરા, પર્ગવાલ, કાનાચક અને અખનૂર સેક્ટરમાં બંને દેશો વચ્ચે ઘમાસાણ લડાઇ છેડાઇ છે,
પાકિસ્તાને શુક્રવારે કરેલ ફાયરીંગમાં ભારતીય સેનાના બે જવાનો શહિદ થયા હતા. જ્યારે અન્ય બે નાગરીકના પણ મોત થયા હતા. પાકિસ્તાન રેન્જર્સના સતત ફાયરીંગના કારણે આરએસપુરા સેક્ટરના કપુરપુર ગામમાં 15 વર્ષના એક કિશોરની મોત થઇ છે.
બીજી તરફ પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપતા બીએસએફે પાકિસ્તાનની અનેક ચોકી તોડી પાડી છે અને જવાબી કાર્યવાહીમાં આઠથી વધુ પાકિસ્તાની રેંજર્સને ઠાર કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન રેંજર્સ દ્વારા બીએસએફની ૩૫ ચોકીઓને નિશાન બનાવીને ફાયરીંગ કરવામાં આવી રહ્યુ છે. તેમજ ભારતની સરહદમાં મોર્ટાર પણ ફેંકવામાં આવી રહ્યા છે.
#FLASH: Ceasefire violation by #Pakistan in RS Pura & Akhnoor sectors of #JammuAndKashmir pic.twitter.com/YUjrCxWJXr
— ANI (@ANI) January 20, 2018
શુક્રવારે રાત્રે પાકિસ્તાન તરફથી અરનિયા, સુચેતગઢ, આરએસપુરા, પર્ગવાલ, કાનાચક અને અખનૂર સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરી ફાયરીંગ કરાયુ હતું. આ ફાયરીંગમાં કાનાચક વિસ્તારમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે.
જવાબી કાર્યવાહી કરતા બીએસએફ જવાનોએ સાંબા, આરએસપુરા, હિરાનગર સેક્ટરમાં પાકિસ્તાનને ભારે નુકશાન પહોંચાડ્યુ છે. બીએસએફ સુત્રોના જણાવ્યા મુજબ, સરહદ પાર શકરગઢ અને સિયાલકોટ વિસ્તારમાં ૮ પાકિસ્તાની રેંજર્સને ઠાર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સરહદ પર મિની યુદ્ધ જેવો માહોલ જાવા મળી રહ્યો છે. ત્રણ દિવસમાં બીએસએફના ત્રણ જવાનો શહિદ થયા છે. તેમજ બે સામાન્ય નાગરીકોના પણ મોત થયા છે. જ્યારે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન રેંજર્સના ૧૦ અને ૫થી વધુ પાકિસ્તાની નાગરીકના મોત થયા છે. ફાયરીંગના કારણે એલઓસીના પાંચ કિલોમીટર વિસ્તારમાં આવેલ તમામ શાળા-કોલેજ બંધ કરી દેવામાં આવી છે.
