જમ્મુ-કાશ્મીર
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર આર એસ પુરા સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું હતું. શુકવાર વહેલી સવારે પાક. દ્વારા ભારતની ૩૦ થી ૪૦ ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પાક. રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતના બે સ્થાનિક વ્યક્તિઓના મોત થયા છે, જયારે ૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાને શુક્રવારે સવારે ૬.૪૫ વાગ્યે જમ્મુના આર એસ પુરા, અરનીયા, રામગઢ સેક્ટરમાં ગોળીબાર થયો હતો. અહીં અંદાજે ૪૦ ચોકીને ટાર્ગેટ કરવામાં આવી હતી. ગોળીબારમાં સઇ ખુરદની બચન દેવી અને આરએસ પુરા સેક્ટરમાં કોરોટાના સુનીલ કુમારનું મોત થયું હતું. જયારે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, પાક. રેન્જર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય બોર્ડરની સાથે સાથે નજીકના નાગરિક વિસ્તારોને પણ લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા, આ કારણે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રહેતા ગ્રામવાસીઓમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો.
બીએસએફના ડાયરેક્ટર જનરલ કે કે શર્માએ જણાવ્યું હતું, “બીએસએફ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની બંકરોને તોડી પાડ્યા હતા અને આ કાર્યવાહીમાં પાકિસ્તાને ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે.
મહત્વનું છે કે, બુધવાર મોડી રાત્રે પાકિસ્તાની રેન્જર્સે આરએસ પુરા અને અરનીયા સેક્ટરમાં ઈન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલી સેનાની ચોકી અને ગામને ટાર્ગેટ કરીને ગોળીબાર કર્યો હતો. તેમાં બીએસએફના એક જવાન શહીદ થયા હતા અને એક જવાન ઘાયલ પણ થયા હતા.