જમ્મુ-કાશ્મીર,
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન આતંકી હુમલાઓમાં શહીદ થયેલા જવાનો અંગે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારે હવે આ વિવાદિત નિવેદનને લઇ સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાની ઉત્તર કમાનના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ દેવરાજ અનબુએ કહ્યું હતું કે, જવાનોની શહીદીને લઇ નિવેદન આપનારાઓ સેનાને જાણતા નથી. શહીદોનો કોઈ ધર્મ હોતો નથી.
તેઓએ કહ્યું હતું કે, અમે સેનામાં કોઈ પણ જવાનની શહાદતને અમે શહીદને સાંપ્રદાયિક રંગ આપતા નથી. સેનામાં બધા એકસમાન છે. જે દેશની વિરુધ હથિયાર ઉઠાવે છે તે જ આતંકી હોય છે. નોધનીય છે કે, સેના તરફથી આ નિવેદન આ સમયે આવ્યું છે ત્યારે ઓવૈસીએ કહ્યું હતું કે, જમ્મુમાં થયેલા હુમલામાં શહીદ થયેલા ૬ જવાનોમાંથી ૫ મુસ્લિમ છે.
સેનાની ઉત્તર કમાનના કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ દેવરાજ અનબુએ બુધવારે કહ્યું, આ સમયે દુશ્મન પૂરી રીતે પરેશાન છે, કારણ કે તેઓ બોર્ડર પર કઈ જ કરી શકતા નથી. આ કારણે તેઓ બોર્ડરમાં અંદર ઘૂસીને હુમલા કરી રહ્યા છે.
તેઓએ વધુમાં જણાવ્યું, ઉરીમાં થયેલા હુમલા બાદ લગભગ ૩૬૪ કરોડ રૂપિયા સેનાના કેમ્પોની સુરક્ષા પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય બોર્ડર પર આતંકીઓને બોર્ડરની અંદર આવતા અટકાવવાનો છે. જે પણ બોર્ડરની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે તેને મારવાનું કામ આમારું છે. તેમજ જે દેશમાં રહીને પણ આતંકીઓની મદદ કરી રહ્યા છે, તેઓની ધરપકડ કરવાનો છે.
આતંકમાં સામેલ થઇ રહેલા યુવાનો પર ચિંતા વ્યક્ત કરતાં લેફ્ટિનેંટ જનરલ દેવરાજે કહ્યું કે, ચોક્કસ આ એક ચિંતાનો વિષય છે. આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. દેવરાજે આતંકી ઘટનાઓ અને આતંક સાથે જોડાયેલ યુવાનો માટે સોશ્યલ મીડિયાને પણ જવાબદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે, વધતી આતંકી ઘટનાઓ માટે સોશ્યલ મીડિયા પણ જવાબદાર છે. અહીં મોટાપાયા પર યુવાનોને આકર્ષિત કરાઇ રહ્યાં છે. મને લાગે છે કે આપણે આ મુદ્દા પર પણ હવે ધ્યાન આપવાની જરૂર છે.
મેજર આદિત્ય સાથે જોડાયેલા મુદ્દા પર તેઓએ જણાવ્યું, આ ઘટનાથી અમારા મનોબળમાં કોઈ ઘટાડો થયો નથી. સરકાર આ મુદ્દે અમારી સાથે છે અને આ મામલો હજી કોર્ટમાં છે.
મહત્વનું છે કે, આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના ધર્મને લઇ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, સુંજવાનમાં સાતમાંથી પાંચ લોકો કાશ્મીરી મુસલમાન હતા, જે મરી ગયા છે. ઓવૈસીએ કહ્યું કે જે મુસલમાનોને આજે પણ પાકિસ્તાની સમજે છે, તેને આમાંથી શીખ લેવી જોઇએ.