દિલ્લી,
દેશભરમાં મોટી બેન્કોમાંથી લોન લઈને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિક્રમ કોઠારી જેવા અનેક વ્યક્તિઓ લોન લઈને કૌભાંડ આચરી રહ્યા છે અને દેશ છોડીને બહાર ભાંગી છુટ્યા છે ત્યારે આ કૌભાંડીઓ પર લગામ લગાવવા માટે સરકાર દ્વારા કઠોર પગલા ભરવામાં આવી રહ્યા છે.
૫૦ કરોડ કે તેનાથી વધુ લોન લેવા માટે પાસપોર્ટની વિગત અનિવાર્ય
આ સંદર્ભમાં સરકાર દ્વારા હવે કોઈ પણ સરકારી બેંકમાંથી ૫૦ કરોડ કે તેનાથી વધુ લોન લેનારા લોકો માટે તેમના પાસપોર્ટની વિગતો આપવી અનિવાર્ય બનાવવામાં આવી છે. આ નિયમ અંગે એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારનું આ પગલું લોન કૌભાંડની સ્થિતિમાં ત્વરિત અને સરળ કાર્યવાહી કરવામાં તેમજ છેતરપિંડી કરી દેશમાંથી ભાગી જનારા લોકો પર રોક લગાવવા માટે ઉપયોગી થશે.
Next step on clean N #Responsible #banking.
Passport details a must for loans > 50 cr. Steps to ensure quick response in case of Frauds.@PMOIndia @FinMinIndia @PIB_INDIA pic.twitter.com/fcnTE3OFjH— Rajiv kumar (@rajivkumarec) March 10, 2018
ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્રેટરી રાજીવ કુમારે પણ સરકારના આ નિર્ણયને સાફસુથરી અને જવાબદાર બેંકિંગની દિશામાં ડગલું ગણાવ્યું હતું. તેઓએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, ૫૦ કરોડથી વધુ લોન માટે પાસપોર્ટ ડિટેલ્સ અનિવાર્ય કરી દેવામાં આવશે. છેતરપિંડીની સ્થિતિમાં ત્વરિત પ્રતિક્રિયા સુનિશ્ચિત કરવાની દિશામાં ભરવામાં આવેલું આ પગલું છે.
સરકારના આ નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે, પાસપોર્ટની જાણકારી મળ્યા બાદ બેંકો દ્વારા યોગ્ય સમયે કાર્યવાહી કરવા તેમજ છેતરપિંડી કરનારા લોકોને દેશની બહાર ભાગી છુટવા બાબતે સબંધિત ઓથોરિટીને માહિતી આપવામાં મદદ મળશે.
ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલને આપવામાં આવી ચૂકી છે લીલી ઝંડી
આ પહેલા સરકાર દ્વારા આ દિશામાં પગલા લેવામાં આવ્યા હતા. મોદી સરકાર દ્વારા ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલને લીલી ઝંડી આપવામાં આવી ચૂકી છે. સાથે સાથે સરકાર દ્વારા બેંકોને આદેશ આપવામાં આવ્યો છે કે ૨૫૦ કરોડ રૂપિયાથી વધુની લોન લેનારા વ્યક્તિ પર નજર રાખવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત વધી રહેલા બેંક કૌભાંડો તેમજ મોટી લોન લઈને વિદેશમાં ભાગી જનારા વ્યક્તિઓ વિરુધ સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. ત્યારે હવે સરકાર દ્વારા આ દિશામાં યોગ્ય એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યા છે જેથી આર્થિક ગુનાખોરી રોકવામાં સફળતા મળી શકે.
