નવી દિલ્લી,
આજના જમાનામાં સામાન્ય માણસથી લઈને દરેક નેતા સોશિયલ મીડિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્નો કરો રહ્યા છે. તેવામાં બીજી તરફ આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, હું ક્યારેય ફેસબુક કે ટ્વીટર પર એકાઉન્ટ નહિ બનાવું.
સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવાથી માણસ અહંકારી બની જાય છે. જો કે તેમણે એ પણ કહ્યું કે, સોશિયલ મીડિયા વાપરવું એ કોઈ ખરાબ વસ્તુ નથી.
આરએસએસના નેતાએ કહ્યું કે ‘ ખાનગી સ્તરે પોતે પ્રમોશન કરવું તેનું એક મર્યાદિત મહત્વ છે. જયારે સંગઠન માટે આ સ્તર ઘણું ફાયદાકારક છે. આ જ કારણોના લીધે ટ્વીટર અને ફેસબુક પર આરએસએસનું એકાઉન્ટ છે પણ મારું નથી અને મારું એકાઉન્ટ ક્યારેય બનશે પણ નહિ. ‘
તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૪માં ભાજપને મળેલી જીતમાં મહત્વની ભૂમિકા સોશિયલ મીડિયાને મનાય છે. આ જોઇને બીજી પાર્ટીઓએ પણ મીડિયાને પોતાના પ્રચાર-પ્રસાર માટેનું સાધન બનાવી દીધું હતું. જો કે આ દરમ્યાન ભાજપ પર એકાઉન્ટ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ પણ લાગ્યો હતો.
મોહન ભાગવતના વિચાર પ્રમાણે સોશિયલ મીડિયામાં રાજનૈતિક પાર્ટીઓનું એકાઉન્ટ બનાવવાથી તેમને ઘણો ફાયદો થાય છે પરંતુ આ પ્લેટફોર્મનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. મીડિયા એક ઉપયોગી સાધન છે પણ તેનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે જ કરવો જોઈએ. આપણે ટેકનોલોજીના ગુલામ ન બનવું જોઈએ પણ વપરાશ મુજબનો જ ઉપયોગ કરવો જોઈએ.
ઉપરાંત તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા વ્યક્તિને અહંકારી બનાવી દે છે. સોશિયલ મીડિયાનો મતલબ એવો થાય કે માત્ર મારું. મારે દરેક સમસ્યા પર પોતાના વિચાર રજુ કરવા પડશે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વારંવાર પોસ્ટ ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. જે મારું મીડિયાથી દૂર રહેવાનું બીજું એક કારણ છે.
