દિલ્લી,
ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીને સોમવારે દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન “પદ્મ ભૂષણ“થી સન્માનિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધોનીએ આ એવોર્ડ એનાયત કર્યો હતો. પરંતુ જયારે રાષ્ટ્રપતિ ભવનમાં ધોની રાષ્ટ્રપતિ કોવિંદ સમક્ષ સન્માન લેવા માટે પહોચ્યો ત્યારે તેને જોઈ ત્યાં ઉપસ્થિત લોકો પણ ચોંકી ગયા હતા.
હકીકતમાં, ભારતીય ટીમના બેસ્ટ ફિનીશર કહેવાતા ધોની પદ્મ ભૂષણનું સન્માન લેવા માટે એક ક્રિકેટર તરીકે નહીં પણ તે એક આર્મીના ઓફિસર તરીકે ડ્રેસ પહેરીને પહોંચ્યો હતો. ત્યારથી જ અનેક સવાલો ઉભા થયા હતા કે, ધોની આર્મીનો ડ્રેસ પહેરીને જ કેમ પહોચ્યો. પરંતુ આ સવાલોનો જવાબ પોતે ધોનીએ જ આપ્યો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોનીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બાબતે એક પોસ્ટ કરતા જણાવ્યું, પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત થવું એક મોટી વાત છે અને અને તેને પણ આર્મીના ડ્રેસમાં પ્રાપ્ત કરવું એ આ ખુશીને દસ ગણી વધારી દે છે. ધોનીએ આ દરમિયાન સેનાના જવાનોનો પણ અભાર વ્યક્ત કર્યો હતો.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “જે પણ મહિલા કે પુરુષ આર્મીના ડ્રેસમાં રહીને દેશની સેવા કરી રહ્યા છે અને તેઓના પરિવારજનો પણ કષ્ટ ઉઠાવી રહ્યા છે એના માટે તેઓને ધન્યવાદ. તમારી કુરબાનીના કારણે જ અમારા જેવા લોકો ખુશી મનાવી શકીએ છીએ અને પોતાના અધિકારો સાથે જીવી શકીએ છીએ”.
મહત્વનું છે કે, ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીને ભારતીય સેના દ્વારા લેફ્ટિનેન્ટની માનદ પદવી આપવામાં આવી છે. તેથી જ તે રાષ્ટ્રપતિ ભવનમાં આર્મીનો ડ્રેસ પહેરીને સન્માન લેવા માટે પહોચ્યો હતો.
બીજી બાજુ રસપ્રદ વાત એ છે કે એમ એસ ધોનીને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ આજથી ૭ વર્ષ પહેલા વર્લ્ડકપની સાતમી વર્ષગાંઠ પર આપવામાં આવ્યું હતું. ૨ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ભારત ૨૮ વર્ષના લાંબા સમયગાળા બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું, જયારે ધોનીએ શાનદાર સિક્સર ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો.
આ પેહલા પણ ધોનીને ૨૦૦૭માં દેશના સર્વોચ્ચ ખેલ સન્માન “રાજીવ ગાંધી ખેલ રત્ન” તેમજ ૨૦૦૯માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન “પદ્મશ્રી“થી નવાઝવામાં આવી ચુક્યો છે.