લીડ્સ,
ભારત અને ઈંગ્લેંડ રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય વન-ડે શ્રેણીની અંતિમ વન-ડે મેચ મંગળવારે લીડ્સ ખાતે રમાવવાની છે, ત્યારે આ વન-ડે મેચ જીતીને ભારતીય ટીમ સતત ૧૦મી સીરીઝ પોતાના નામે કરવાના ઈરાદાથી મેદાને ઉતરશે.
નોધનીય છે કે, પ્રથમ વન-ડે મેચમાં ભારતે યજમાન ટીમને ૮ વિકેટે હરાવી હતી, જો કે ત્યારબાદ બીજી વન-ડે મેચમાં ઈંગ્લેંડની ટીમે વળતો પ્રહાર કરતા ભારતને ૮૬ રને હરાવી શ્રેણી ૧-૧થી સરભર કરી હતી, ત્યારે હવે બંને ટીમોની નજર નિર્ણાયક વન-ડે જીતીને શ્રેણી પોતાના નામે કરવા પર હશે.
કુલદીપ યાદવ અને રોહિત શર્મા છે શાનદાર ફોર્મમાં
ઈંગ્લેંડ સામેની પ્રથમ મેચમાં ચાઈનામેન્ટ ગુગલી બોલર કુલદીપ યાદવે ઈંગ્લેંડની ટીમને વેરવિખેર કરતા ૬ વિકેટ ઝડપી હતી, જયારે સ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા પણ શાનદાર ફોર્મમાં છે. આ ઉપરાંત ભારતીય ટીમ પાસે શિખર ધવન, એમ એસ ધોની, કેપ્ટન વિરાટ કોહલી સહિતના ધુરંધર બેટ્સમેન છે કોઈ પણ સ્થિતિમાં મેચની સ્થિતિ બદલી શકે છે.
ભારતને યજમાન ટીમ આપી શકે છે ટક્કર
બીજી બાજુ યજમાન ઈંગ્લેંડની ટીમ પણ બીજી મેચમાં મેળવેલી જીત બાદ આ શ્રેણીમાં તેઓ ભારતને ટક્કર આપી શકે છે. ઈંગ્લેંડની ટીમમાં પણ ઓપનર જેશન રોય, જોસ બટલર, બેન સ્ટોક્સ, કેપ્ટન ઇયાન મોર્ગન જેવા ખેલાડીઓ છે.
અત્યારસુધીમાં ૯ સીરીઝમાં ભારતે મેળવ્યો છે વિજય
જાન્યુઆરી, ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને ૪-૧થી હરાવ્યા બાદ ભારતે એક પણ દ્વિપક્ષીય વન-ડે સીરીઝ હાર્યું નથી. ૨૦૧૬ બાદ ભારતે ઝિમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેંડ (બે વાર), વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા (બે વાર), ઓસ્ટેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ત્યારે હવે આં ઈંગ્લેંડ સામે રમાનારી વન-અંતિમ મેચ જીતવાની સાથે જ સતત ૧૦ સીરીઝ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.