ભાવનગર.
ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે જમીન સંપાદનના મામલે આજે સવારે ખેડૂતોની રેલી નીકળી હતી ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે આજે સવારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે આ વિસ્તારની પરિસ્થિતિ તંગ બનતા પોલીસે લાઠીચાર્જ અને ૫૦થી વધુ અશ્રુવાયુના સેલ છોડવામાં આવ્યા હોવાની ઘટના બની છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે સરકારની જીપીસીએલ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે જમીન સંપાદનના મામલે બાડી અને પડવા સહિતના આસપાસના ૧૨ ગામના ખેડૂતો દ્વારા પોતાની જમીનના હક્કના મામલે ઘણાં લાંબા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
આ આંદોલનના ભાગરૂપે બાડી-પડવા અને આસપાસના ૧૨ જેટલા ગામોના ખેડૂતો દ્વારા સરકારની નીતિ સામે વિરોધ કરવા માટે શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરતા પરિસ્થિતિ વણસી ગઈ હતી. પરિસ્થિતિ વણસી જતા પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે અશ્રુવાયુના ૫૦થી વધુ સેલ છોડવામાં આવ્યા હતા.