ભાવનગર: તળાજા–ભાવનગર હાઈવે પર ગોઝારા અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે તેમાં વધુ એક જીવલેણ અકસ્માતનો ઉમેરો થયો છે. જેમાં ધારડી ગામના પાટિયા પાસે બંધ ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અથડાઈ હતી. જેના કારણે બસ ક્લીનર સહિત બે વ્યક્તિના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં બસના એક તરફના ચીથરાં નીકળી ગયા હતા.
આં અંગે પ્રાપ્ત વિગતો મુજબ દિવથી ખાનગી ઉમિયા ટ્રાવેલ્સની જીજે-05-બીટી-9906 નંબરની લક્ઝરી બસ અમદાવાદ તરફ આવી રહી હતી. ત્યારે તળાજાથી આગળ જતાં ધારડી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે રોડ પર સિમેન્ટ ભરેલી એક બંધ પડેલી જીજે-01 સીએક્સ 1390 નંબરની ટ્રક ઉભી હતી. આ બંધ પડેલી ટ્રકની સાથે ઉમિયા ટ્રાવેલ્સની લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી.
બંધ પડેલી આ ટ્રક સાથે બસ અથડાતા આ અકસ્માતમાં બસના ક્લીનર ગંભીરસિંહ ઘેલુભા (ઉ.વ. ૨૭)નું તેમજ ઉનાના દેલવાડા ગામે રહેતા રાકેશ ધીરજલાલ ભટ્ટ (ઉ.વ. ૩૮)નું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આં અકસ્માતમાં બસ ડ્રાઈવર સુભાન કુરેશી સહિત બે બાળકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાકેશ ભટ્ટનો બે દિવસ પહેલાં જન્મદિવસ હતો
દેલવાડા સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશ ભટ્ટના પરિવારજનોએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં રાકેશભાઈનો જન્મદિવસ હતો. અને તેઓ વેકેશન પૂર્ણ થવા જઈ રહી રહ્યું હોય પરિવાર સાથે ઉનાળુ વેકેશનમાં ફરવા માટે આબુ અંબાજી જઈ રહ્યા હતા. અને ત્યાંથી પરત આવ્યા બાદ ફરજ પર હાજર થવાના હતા. પરંતુ તેમના પરિવારનો આ આનંદ અકસ્માતના કારણે શોકમાં ફેરવાઈ ગયો હતો. રાકેશભાઈના અવસાનથી તેમની બે પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.