શ્રીનગર,
રમઝાનના પવિત્ર માસ સમાપ્ત થયા અને જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ હવે આતંકીઓ સામે સેના દ્વારા ઓપરેશન ઓલઆઉટ પાર્ટ ૨ શરુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે રવિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ સેક્ટરમાં સેના દ્વારા કરાયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ૨ આતંકીઓને ઠાર માર્યા છે જયારે એક આતંકવાદીએ સમર્પણ કર્યું છે.
કુલગામ સેક્ટરમાં સેના દ્વારા કરાયેલા એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા આતંકવાદીઓમાં આતંકી સંગઠન લશ્કરનો કમાન્ડર શકૂર જણાવવામાં આવી રહ્યો છે. જો કે આ એન્કાઉન્ટર દરમિયાન થયેલી ઝડપમાં ૧૦ પ્રદર્શન કરી રહેલા લોકો પણ ઘાયલ થયા છે. આ પહેલા આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ સુરક્ષાના કારણોસર કુલગામ સેક્ટરમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે તેમજ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના DGP એસ પી વૈધે ટ્વીટ દ્વારા જાણકરી આપતા કહ્યું, “આ એન્કાઉન્ટરમાં ત્રણમાંથી બે આતંકવાદીઓને ઠાર કરાયા હોવાની જાણકારી છે, તેમજ સુરક્ષાબળોના આ સફળ ઓપરેશન માટે તેઓએ શુભકામનાઓ પણ પાઠવી છે.
શુક્રવારે સેનાએ મુઠભેળમાં ૪ આતંકીઓને કર્યાં હતા ઠાર
આ પહેલા શુક્રવારે જમ્મુ કાશ્મીરમનાં અનંતનાગમાં સેનાએ મુઠભેળમાં ૪ આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓમાં ઇસ્લામિક સ્ટેટ જમ્મુ કાશ્મીરનાં (આઇએસજેકે) આગેવાનને પણ ઢેર કરી દેવામાં આવ્યો હતો. જયારે આ મુઠભેડમાં સેનાનાં એક જવાન પણ શહીદ થયા હતા તેમજ એક નાગરિકનું પણ મોત થયું હતું.
સેના દ્વારા બનાવવામાં આવી છે ૨૧ આતંકવાદીઓનું હિટ લિસ્ટ
મહત્વનું છે કે, આગામી ૨૮ જૂનથી શરુ થવા જઈ રહેલી પવિત્ર અમરનાથ યાત્રા અને રાજ્યમાં આતંકી વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે સેના ૨૧ આતંકવાદીઓની એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરક્ષાબળો દ્વારા ૨૧ ટોચના આતંકીઓના ખાત્મા માટે એક ઓપરેશન શરુ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
આ આતંકીઓમાં આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ૧૧ આતંકી, લશ્કર-એ-તૈયબાના ૭, જેશ-એ-મોહમ્મદના ૨ અને ૧ આતંકી અન્સાર ગાજવત ઉલ-હિંદ (એજીએચ)ના છે.