નવી દિલ્હી,
ફાઈટર જેટ પ્લેન રાફેલને લઈ કરવામાં આવેલી ડીલને લઈ વર્તમાન મોદી સરકાર અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ધમાસાણ મચ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ સોદાને લઈ સરકાર પર કોંગ્રેસના સતત પ્રહારો ચાલુ છે, ત્યારે સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારે રાફેલ સોદાને લગતા તમામ દસ્તાવેજો સોંપ્યા છે.
કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રિમ કોર્ટમાં ૩૬ જેટલાં રાફેલ વિમાનોની ડીલની પ્રક્રિયાની માહિતી આપી હતી. સરકારે સુપ્રિમ કોર્ટમાં કુલ ૯ દસ્તાવેજો સોંપ્યા હતા, જેમાં આ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી છે.
ઉલ્લેખનીય છે કે, રાફેલ વિમાનનો સોદો કેટલા રૂપિયામાં થયો ત્યાંથી લઇને તેના સોદા માટે કેવી પ્રક્રિયા કરવામાં આવી છે તેની માહિતી માંગતી પીટીશન સીનીયર એડવોકેટ એમ એલ શર્માએ સુપ્રિમ કોર્ટમાં કરી હતી, ત્યારે હવે સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આ સોદાને લગતી વિગતો આપવામાં આવી છે.
દેશની સર્વોચ્ચ અદાલતમાં સરકારે દસ્તાવેજો આપતા કહ્યું છે કે, રાફેલ વિમાન રક્ષા ખરીદી પ્રક્રિયા ૨૦૧૩ હેઠળ આ સોદો કરવામાં આવ્યો છે. વિમાનની ખરીદી માટે રક્ષા ખરીદ પરિષદની મંજૂરી લેવામાં આવી છે.
મોદી સરકારે કોર્ટમાં જે દસ્તાવેજો સુપ્રત કર્યા છે એમાં જણાવ્યું છે કે, ફ્રાંસ સાથે એક વર્ષની વાતચીત પછી સમજૂતી પર સહીઓ કરતાં પહેલાં કેબિનેટની સુરક્ષા મામલાઓની સમિતિની મંજૂરી લેવામાં આવી છે.
રાફેલ સોદામાં ભારતીય ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં તેમની કોઇ ભુમિકા નથી. આ પસંદગી માટેનો નિર્ણય ઓરિજીનલ ઇક્વીમેન્ટ મેનુફેક્ચર (ઓઇએમ) એટલે કે ડસોલ્ટ એવિએશનનો પોતાનો જ હતો.