અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલના વિજયને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી બાબતે સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી અહેમદ પટેલને રાહત મળી છે. એટલું જ નહીં, તેમની સામે ચૂંટણી લડીને હારી ગયેલા બળવંતસિંહ રાજપૂતને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આદેશ આપતા અહેમદ પટેલ વિરુદ્ધ આપેલી અરજીને આગળ ન ચલાવવાનો આદેશ પણ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી ચાર અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે.
સમગ્ર મામલો શું હતો?
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભાના ઉમેદવાર તરીકે બળવંતસિંહ રાજપૂત ચૂંટણી લડ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં પોતે હારી ગયા બાદ કોંગ્રેસના અહેમદ પટેલની જીતને બળવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજી વિરુદ્ધ અહેમદ પટેલે સુપ્રીમ કોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. આ પીટિશન અંગે આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ એ.એમ.ખાનવિલકર અને ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટને બળવંતસિંહ રાજપૂતની અરજી પર રોક લગાવવાનો આદેશ કર્યો હતો.
વર્ષ-૨૦૧૭માં રાજ્ય સભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી
વર્ષ-૨૦૧૭માં ગુજરાતમાં રાજ્ય સભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજીએ હતી. આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ મેદાનમાં હતા, જ્યારે ભાજપે અમિત શાહ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા બળવંતસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા.
આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના બે ધારાસભ્ય ભોળા પટેલ અને રાઘવજી પટેલના મત રદ કરવામાં આવ્યા હતા. આ મત રદ કરવામાં આવતાની સાથે જ ગુજરાતની ત્રીજી બેઠક પરથી અહેમદ પટેલનો વિજય થયો હતો.
ચૂંટણી પંચના આ નિર્ણય સામે બળવંતસિંહે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને રદ કરવામાં આવેલા મતોને યોગ્ય ઠેરવવાની માંગ કરી હતી.