નવી દિલ્હી,
શુક્રવારે લોકસભામાં મોદી સરકાર વિરુધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓને ૧૨૬ વોટ મળ્યા હતા અને મહાગઠબંધન અંગેની વાતો માત્ર કાગળ પર સાબિત થઇ હતી, ત્યારે હવે આગામી લોકસભા ચુંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વાર એક બેઠક બોલવવામાં આવી છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં મિશન ૨૦૧૯ માટે બોલાવવામાં આવી છે ત્યારે આ મિટિંગમાં પણ વધુ એકવાર મહાગઠબંધનના નેતા કોણ ? તે અંગે વાત અટકી પડી છે.
જો કે,`રવિવારે રાજધાની દિલ્હી ખાતે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અ મુદ્દે ચર્ચા થઇ હતી, જેમાં કેટલાક નેતાઓએ આ વાત પર જોર આપ્યું હતું કે, મહાગઠબંધનના કેન્દ્રમાં કોંગ્રેસ રહે અને રાહુલ ગાંધી જ તેઓનો ચહેરો હોય.
અત્રે ઉલ્લેખનિય છે કે, ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા પીએમ મોદી અને ભાજપ સામે મહાગઠબંધનના નેતા અંગે અનેક નામો સામે આવી રહ્યા છે, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તો ક્યારેક માયાવતી. ત્યારે આ સ્થિતિમાં કોઈ યોગ્ય ઉમેદવાર અંગે ખેચતાણ જોવા મળી રહી છે.
બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર થઇ રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં આ વાત પર જ જોર અજમાવવામાં આવી રહ્યું છે કે, ગઠબંધનનો ચહેરો કોંગ્રેસના નેતા જ હશે.
CWCની બેઠકમાં શામેલ થયેલા સચિન પાયલોટ, શક્તિસિંહ ગોહિલ અને રમેશ ચેન્નીથલા જેવા નેતાઓએ પણ કહ્યું હતું કે, રાજનૈતિક ગઠબંધન બનવું જોઈએ. ગઠબંધનમાં અમે સૌથી મોટી પાર્ટી બનીને સામે આવીએ અને અમારા નેતા રાહુલ ગાંધી ગઠબંધનના નેતા હોય.
દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવે : સોનિયા ગાંધી
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શામેલ થયેલા કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ મહાગઠબંધન પર પોતાની સહમતી જતાવી હતી આને તેઓએ કહ્યું, “લોકતંત્ર બચાવવા માટે સાથે આવવું જરૂરી છે. એકસરખી વિચારધારા વાળા દળોએ કોઈ અંગત મહત્વકાંક્ષાઓ છોડીને એકસાથે આવે”.