નવી દિલ્હી,
છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની દિલ્હીમાં પડી રહેલા ભારે વરસાદના કારણે યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. આ દરમિયાન હથીની કુંડ ડેમમાંથી પણ પાણી છોડવાના કારણે યમુના નદી હાલ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, આ જોતા રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ ઉભું થયું છે.
બીજી બાજુ, આ પૂરના સંકટને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સહિતના સરકારી અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી.
હથીની કુંડ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે હરિયાણાના યમુના નગરમાં ધણું નુકશાન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વસેલા ગામોમાં પાણી ધસી આવ્યા છે. આ કારણે વિસ્તારના લોકો સંકટમાં મુકાયા છે અને શનિવારે તેઓએ પોતાના ઘરોના ટેરેસ પર રાત વિતાવવા માટે મજબૂર બન્યા છે.
સતત વધી રહ્યું છે યમુનાનું જળસ્તર
અધિકારીઓના જણવ્યા અનુસાર, શનિવાર સાંજે ૭ વાગ્યા સુધી યમુનાનું જળસ્તર ૨૦૫.૩૦ મીટર પર પહોચી ગયું હતું, જે રવિવારે વધીને ૨૦૫.૫૦ મીટર પર પહોચ્યું છે. હજી આ જળસ્તર વધવાની આશંકા જતાવવામાં આવી રહી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હથીની કુંડ ડેમમાંથી શનિવાર સાંજે ૬ વાગ્યે ૬ લાખ ૫ હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી દિલ્હીમાં પહોંચવાથી પૂરનું સંકટ ઉભું થયું છે.
યમુનાના નીચલા વિસ્તારોમાં વજીરાબાદ, સોનિયા વિહાર, શાસ્ત્રી પાર્ક, ગાંધીનગર, ઓખલા સહિતના અનેક વિસ્તારોમાં હવે પૂરનું સંકટ ઉભું થયું છે
મળતી માહિતી મુજબ, યમુના નદીના વધી રહેલા આ જળસ્તર વચ્ચે રવિવાર સવારે ૬ વાગ્યે ૨ લાખ ૫૩ હજાર કયુસેક પાણી ફરીથી હાથીની કુંડ ડેમમાંથી છોડવામાં આવ્યું છે, જે ૩૧ જુલાઈ સુધી દિલ્હી પહોચશે. ત્યારે હવે આ સંકટ વધુ ગંભીર બની શકે છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું હતું કે, “હરિયાણા દ્વારા ડેમમાંથી ૫ લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે અને આ પાણી બીજા દિવસે સાંજ સુધી દિલ્હી પહોચવાની સંભાવના છે. આ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને કાઢીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે. સરકારના તમામ વિભાગો એલર્ટ પર છે અને કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં નિયંત્રણની મદદ માટે નંબર ૧૦૭૭ છે.