અમદાવાદ
રાજ્યમાં ગાજેલા મગફળીમાં માટી કાંડ મામલે કોંગ્રેસે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી મગફળી કાંડ મામલે સરકારનો વિરોધ કરી ઉપવાસ કરી રહ્યા છે.
સાબરમતી ગાંધી આશ્રમ પહોંચીને ધાનાણીએ બાપૂના હૃદયકુંજમાં શીશ નમાવીને પગલે લાગ્યા હતા. ત્યારબાદ બહાર બેસીને ઉપવાસની શરૂઆત કરી હતી.
સાબરમતી આશ્રમ પાસે જ ધાનાણી ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાશે. પેઢલા ખાતેથી શરૂ કરાયેલા ધરણાનો સિલસિલો અમદાવાદ સુધી પહોંચ્યો છે.
ધાનાણી આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવીને સરકારને આડેહાથ લઈ રહ્યા છે અને એક બાદ એક પ્રહાર કરીને સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.

હાલ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં મગફળી કૌભાંડ અંગે અલગ અલગ જગ્યાએ ધરણા કાર્યક્રમ યોજી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાણાણી સહિતના નેતાઓ અલગ અલગ જગ્યાએ ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે.
આ દરમિયાન તેમણે કૃષિમંત્રી આર.સી.ફળદુ પર અનેક આક્ષેપ કર્યા હતા. જે બાદમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપો સાબિત કરવાને ચેલેન્જ ફેકી હતી.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ધાનાણી આક્ષેપ સાબિત કરે નહીં તો અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. તેના જવાબમાં ભાવનગર ખાતે ધરણા કરી રહેલા ધાનાણીએ કટાક્ષ કરીને માફી માંગી લીધી હતી.
