પાકિસ્તાન દેશનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ હાજર રહ્યા હતા અને આ સમારોહમાં તેઓ પાકિસ્તાનનાં સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ગળે પણ મળ્યા હતા. સેના પ્રમુખને કરેલાં આ ‘હગ’ ને કારણે નવજોત ચર્ચાઓના ઘેરામાં આવી ગયા છે. નવજોતની જર્ની એક ક્રિકેટરથી પંજાબના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી સુધીની છે.
નવજોત સિદ્ધુએ પોતાનાં પર વરસી રહેલી નફરત અને આક્ષેપોના વળતા જવાબમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું એક માણસ છુ, રોબોટ નહી.’ ઉપરાંત એમણે સામે એમણે સવાલ કર્યો કે જયારે 1999માં સ્વર્ગસ્થ અટલ બિહારી લાહોર યાત્રા પર ગયા હતા એને પણ શું દેશ વિરોધી પગલું ગણવામાં આવશે? જયારે 2015માં મોદી પાકિસ્તાન યાત્રા પર ગયા હતા એને પણ શું એમનાં સમર્થકો દેશ વિરોધી ગતિવિધિ માનશે? એમણે સફાઈ આપતા કહ્યું કે, કારગીલ યુદ્ધ થયું હોવા છતાં અટલ બિહારી મુશરર્ફને મળ્યાં હતા.
નવજોતની પાકિસ્તાન યાત્રાને કારણે હિન્દુ સંગઠન એમનાં પર ભડક્યું છે. બજરંગ દળે સિદ્ધુનું માથું લઇ આવનાર માટે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. રાષ્ટ્રીય બજરંગ દળ નાં જીલ્લા પ્રમુખ સંજય જાટનો એક વિડીયો વાયરલ થયો છે.જેમાં એમણે સિદ્ધુને ગદ્દાર જાહેર કરીને બીજી પણ ઘણી વિવાદિત વાતો કરી છે. આ વિડીયો ક્લીપમાં સંજય પાંચ લાખ રૂપિયાનો એક ચેક પણ દેખાડી રહ્યાં છે.વિડીયોમાં સંજય કહે છે કે તેઓ સિદ્ધુના વ્યવહારથી ઘણા દુઃખી થયા છે. આ મામલે સ્થાનીય પોલીસ અધિકારોએ કહ્યું કે, તેઓને આ વિડીયો વિષે કોઈ જાણકારી નથી અને આ બાબતે કોઈ ફરિયાદ પણ હજી સુધી દાખલ થઇ નથી.
નવજોત સિદ્ધુની આટલી આલોચના થયા બાદ ખુદ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન જેનાં શપથ સમારોહમાં નવજોત હાજર રહ્યા હતા એ પ્રધાનમંત્રી ઇમરાન, સિદ્ધુ માટે આગળ આવ્યા હતા અને એમણે નવજોત સિદ્ધુને સમર્થન આપ્યું હતું અને ટ્વીટ પણ કર્યું હતું. ઇમરાન ખાને સિદ્ધુને શાંતિ દૂત કહ્યા હતા અને એમણે કહ્યું કે સિદ્ધુને નિશાનો બનાવનાર લોકો દેશનાં અમનને નુકશાન પહોંચાડી રહ્યા છે.
નવજોત સિદ્ધુએ કહ્યું કે, પાકિસ્તાન સેનાનાં જનરલ બાજવાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર ભારતનાં ડેરા બાબા નાનકથી પાકિસ્તાનની ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર સુધી એક કોરીડોર ખોલવાની કોશિશ કરશે. જેથી 550માં ગુરુ નાનક પ્રકાશ ઉત્સવ દરમ્યાન યાત્રાળુઓને આવવા જવામાં મદદ થશે. નવજોતે કહ્યું કે , ‘તમે મારાથી શું અપેક્ષા રાખો છો? એમનાથી મોઢું ફેરવી લેત? આખરે હું એક માણસ છુ.’
ગળે મળવાની વાત પર સિદ્ધુએ જવાબ આપ્યો કે, ‘પાકિસ્તાનમાં ઓછામાં ઓછા દસ હજાર લોકોએ મને ગળે લગાવ્યો હશે. તો શું આનાથી હું રાષ્ટ્ર વિરોધી થઇ ગયો? પાકિસ્તાનમાં જે કોઈ પણ મારી નજીક આવ્યું છે , મને એમના તરફથી પ્રેમ અને લાગણી અનુભૂતિ થઇ છે.’
પાકિસ્તાન જવા બાબતે સિદ્ધુએ જણાવ્યું કે, ‘હું ત્યાં એટલાં માટે ગયો હતો કારણકે આ આમંત્રણ એક મિત્ર તરફથી આવ્યું હતું.’ સેના પ્રમુખ મને ગળે મળ્યા અને એમણે મને કહ્યું કે, ‘તમે એક બહાદુર વ્યક્તિ છો. ઘણાં લોકો આવ્યાં નહી.’