કોલકાતા: પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુરમાં પોલીસ સાથેની અથડામણ દરમિયાન થયેલા ફાયરિંગમાં બે વિદ્યાર્થીઓનાં થયેલાં મોતની ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે બુધવારે સવારે છ વાગ્યાથી ૧ર કલાકના ‘બંગાળ બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. સવારથી જ આ ‘બંધ’ હિંસક બન્યું હતું અને રાજ્યભરમાં અનેક સ્થળે સરકારી બસ સહિતનાં વાહનોમાં તોડફોડ અને આગચંપીના બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે.
ભાજપ દ્વારા લોકોને ‘બંગાળ બંધ’ને સફળ બનાવવાની અપીલ કરી છે, તો રાજ્ય સરકાર અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ બંધને નિષ્ફળ બનાવવા માટે પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું છે. કોલકાતાના હાવડા સ્ટેશનમાં વહેલી સવારથી જ ભારે તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
![BJP નું ‘બંગાળ બંધ’ બન્યું હિંસક: બસોમાં તોડફોડ - આગચંપી, રેલવે પણ પ્રભાવિત 2 BJP's 'Bengal Bandh' became violent: Fire in buses, railways also affected](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/Bengal-Bandh111.jpg)
આજે સવારથી જ પશ્ચિમ ‘બંગાળ બંધ’ દરમિયાન સરકારી બસોમાં તોડફોડ અને આગચંપીના બનાવો પણ બન્યા છે. સરકારી બસના ડ્રાઈવર બંધ સમર્થકોના ડરથી હેલ્મેટ પહેરીને બસ ચલાવી રહ્યા છે. ‘બંગાળ બંધ’ની અસર રેલવે સેવા પર પણ પડી છે.
ભાજપ સમર્થકોએ હાવડા-વર્ધમાન મેઈન લાઈન, સિયાલદાહ-બરાસત બોંગાયન સેક્શન, સિયાલદાહ-ડાયમંડ હાર્બર સેક્શન અને હાવડા ડિવિઝન પર બાંદલ કટવા સેક્શનની રેલવે સેવાઓ રોકી દીધી છે.
![BJP નું ‘બંગાળ બંધ’ બન્યું હિંસક: બસોમાં તોડફોડ - આગચંપી, રેલવે પણ પ્રભાવિત 3 BJP's 'Bengal Bandh' became violent: Fire in buses, railways also affected](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/Bengal-Bandh22.jpg)
બીજી તરફ ડાબેરી મોરચા અને કોંગ્રેસે પણ ઈસ્લામપુર ફાયરિંગની ઘટનાનો વિરોધ કર્યો છે, પરંતુ ભાજપના ‘બંગાળ બંધ’ને સમર્થન કર્યું નથી. ‘બંગાળ બંધ’ અગાઉ ભાજપ અને ટીએમસીએ જોરદાર શક્તિ પ્રદર્શન કરીને પોતપોતાની રેલીઓ કાઢી હતી અને લોકોને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરી હતી.
બંગાળના રૂર્વ બર્દવાન જિલ્લાના નાદનઘાટ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ ટ્રેનો રોકી હતી. આ દરમિયાન રસ્તા પર પસાર થતી તમામ ગાડીઓને પણ બળજબરીપૂર્વક રોકવામાં આવી હતી. ભાજપના ‘બંગાળ બંધ’ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આમ છતાં પણ સવારથી જ હિંસાની અનેક ઘટનાઓ બની રહી હોવાના સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કૂચબિહારમાં પણ બંધ સમર્થકોએ સરકારી બસોમાં તોડફોડ કરી હતી અને તેમાં આગ લગાવી દીધી હતી. જયારે મિદનાપુરમાં પણ બસોને સળગાવવામાં આવી છે.
ભાજપના નેતા રાહુલ સિંહાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લોકતંત્રને મોટું નુકસાન કર્યું છે. અમે તેના વિરોધમાં ‘બંગાળ બંધ’નું એલાન આપ્યું છે. અમને આજે લોકોનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરીય દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુરના દારીભીત ગામમાં આઈઆઈટીના વિદ્યાર્થી રાજેશ સરકાર અને ત્રીજા વર્ષના કોલેજ સ્ટુડન્ટ તપસ બર્મનનું પોલીસ ફાયરિંગમાં મોત થયું હતું. આ ઘટનાના વિરોધમાં ભાજપ દ્વારા બુધવારે ૧ર કલાકના ‘બંગાળ બંધ’નું આહવાન કર્યું છે.
કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ૧ર કલાકના બંધના એલાનને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પ્રશાસન ભાજપના બંધ દરમિયાન કોઈ લાપરવાહી રાખવાના મૂડમાં નથી. બંગાળના રસ્તાઓ પર ૪,૦૦૦ પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત ૪ર૭ સૈન્યદળ અને સ્પેશિયલ કંટ્રોલરૂમ પણ ઊભા કરવામાં આવ્યા છે. આટલી કડક સુરક્ષા હોવા છતાં પણ વહેલી સવારથી જ અનેક હિંસક ઘટનાઓ સામે આવી છે. પ્રદેશ પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ર૬૦૦ સરકારી બસ હાલ દોડી રહી છે અને તેની સુરક્ષા માટે રપ ફલાઈંગ સ્ક્વોડ મોબાઈલ વાન પણ ઉતારવામાં આવી છે.