રાજકોટ,
દેશભરમાં વધી રહેલી મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ શહેર કોંગ્રેસ દ્વારા વાણીયાવાડી વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવાળીયાના ઘર નજીક આ દેશની મોંઘવારી વધારનાર મહિષાસુર એવું લખાણ લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું અને ભાજપ તથા વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
જો કે પૂતળા દહનના આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું કે, દેશમાં જે રીતે મોંઘવારી અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે.
તેના માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે. સાથે જ વડાપ્રધાન મોદીની સરખામણી તેમણે મહિષાસુર સાથે કરી હતી અને મોંઘવારી ઘટાડવા માટે સરકાર દ્વારા જરૂરી પ્રયાસો નહિ કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
