મ્યુનિસિપલ સામાન્ય સભામાં મેટ્રો રેલના કામથી પૂર્વ અમદાવાદમાં રસ્તા ઠેર ઠેર તૂટી ગયા હોઈ નાગરિકો છેલ્લાં ચાર વર્ષથી હેરાન-પરેશાન છે તેવા વિપક્ષ કોંગ્રેસના આક્ષેપને સત્તાધારી ભાજપની રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેને ટેકો આપતાં ખુદ શાસકો ચોંકી ઊઠ્યા હતા, તેમાંય પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચેના ભેદભાવનો મામલો વધારે વિવાદાસ્પદ બન્યો હતો, જોકે મેટ્રોના કામથી સમગ્ર શહેરના તૂટેલા રસ્તા દેવદિવાળી બાદ જ સરખા થવાના છે.
પૂર્વ અમદાવાદના રબારી કોલોની, અમરાઈવાડી અને વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લાં ચાર વર્ષથી મેટ્રોના કામથી તૂટેલા રસ્તા રિપેર થતા નથી, જેના કારણે ધૂળ ઊડે છે તેમજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તેમ રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન રમેશ દેસાઈએ જણાવીને વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે જો પશ્ચિમ વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાઈ હોત તો આખી મેગા કંપની કામે લાગી ગઈ હોત.
બીજી તરફ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ સંભાળતી મેગા કંપની હવે રહી રહીને મેટ્રો કામથી પ્રભાવિત રસ્તાના રિપેરિંગ માટે ટેન્ડર મંગાવ્યા છે. આની ટેન્ડર સ્વીકારવાની પ્રક્રિયા આગામી તા. 2થી તા. 16 નવેમ્બર સુધી ચાલશે એટલે દેવદિવાળી બાદ જ મેટ્રો રેલ રૂટના રસ્તા રિપેર થશે.