બેંગલુરૂ,
આશરે ₹ 600 કરોડના પોન્જી રોકાણ કૌભાંડ કેસમાં આરોપોનો સામનો કરી રહેલા ભારતીય જનતા પાર્ટી ( BJP ) ના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી જનાર્દન રેડ્ડીની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના ઉપર મની લોન્ડ્રિંગ અને મુખ્ય આરોપીના પૈસાની ગેરકાયદે લેણ-દેણ કરવાનો આરોપ છે.
આ ઉપરાંત તેના સાથી મહફૂજ અલી ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ તેણે તપાસ અધિકારી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એસ. ગિરીશને હટાવવા માટેની અપીલ કરી હતી.
BJP ના નેતા અને પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી જનાર્દન રેડ્ડી શનિવારે એજન્સી સામે રજૂ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચ પહેલાથી જ રેડ્ડીની ધરપકડ કરવા પર વિચારણા કરી રહી હતી. આ મામલે એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા પછી પૂરાવાના આધાર પર એ બાબત નક્કી કરવામાં આવશે કે તેની ધરપકડ કરવામાં આવશે કે નહીં.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના સીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, વિશ્વાસપૂર્ણ પૂરાવા અને સાક્ષીના નિવેદનના આધાર પર ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જનાર્દન રેડ્ડીને મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવામાં આવશે. તેની પાસે રહેલા પૈસા જપ્ત કરીને રોકાણકારોને પરત આપવામાં આવશે.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખ્યાલ આવ્યો હતો કે, રેડ્ડી અને ખાને એંબિડેંટ માર્કેટિંગ પાસેથી 18 કરોડ રૂપિયાની કિંમતનું 57 કિલો સોનું લીધું હતું. આ સોનું ઈડીના અધિકારીઓ પાસેથી એંબિડેંટના પ્રમોટર સૈયદ ફરીદને ઢીલ આપવાની વાત કરવાના બદલામાં લેવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે રેડ્ડી અને ખાનને રવિવારે પૂછપરછ માટે નોટિસ પાઠવી હતી.