આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર દિવાળી દરમ્યાન ગુજરાતના પ્રવાસે છે. તા. 5 નવેમ્બર- ધનતેરસના રોજ “આયુર્વેદ દિવસ” નિમિત્તે રસપાન પાર્ટી પ્લોટ, નિકોલમાં શ્રી ધન્વન્તરી હોમ, લક્ષ્મી પૂજન અને મહા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોમમાં 1008 પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આશરે 1200 જેટલા આયુર્વેદિક ચિકિત્સકો તથા 5000 જેટલા વિદ્યાર્થીઓની સાથે લગભગ 1 લાખ લોકો અત્રે ઉપસ્થિત રહેશે દીર્ઘાયુષ્ય, અપમૃત્યુ અને અકાળ મૃત્યુ થી મુક્તિ તથા આરોગ્ય-પ્રાપ્તિ માટે ધન્વન્તરી યજ્ઞ કરવામાં આવતો હોય છે.
આસો માસ કૃષ્ણ પક્ષ – તેરસ એ ભગવાન ધન્વન્તરીનો પ્રાગટ્ય દિન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે ભગવાન ધન્વન્તરીની પૂજા અર્ચના કરવાથી અકાળ મૃત્યુ નિવારી શકાય છે. વર્તમાન જીવન શૈલી, ચિકિત્સા પદ્ધતિ, અનેક રોગોને નિમંત્રણ આપે છે, ત્યારે આયુર્વેદ ચિકિત્સાની અસરકારકતા વિષે આ કાર્યક્રમમાં માહિતી અપાશે.
દરેક મનુષ્યની પ્રકૃતિ-તાસીર જુદી જુદી હોય છે, આયુર્વેદ એટલું વિચક્ષણ વિજ્ઞાન છે કે જે વ્યક્તિની પ્રકૃતિને જાણીને એ પ્રમાણે સારવાર કરે છે. કાર્યક્રમ દરમ્યાન સ્થળ ઉપર પણ આયુર્વેદિક ચિકિત્સકોને મળીને, નાડી પરીક્ષણ દ્વારા માર્ગદર્શન મેળવી શકાશે.
આર્ટ ઓફ લિવિંગ-અમદાવાદના વોલંટીયર્સ આસપાસના ગામડાઓમાં જઈને લોકોને મળે છે, તથા તેમની તકલીફો સાંભળીને મદદરૂપ થાય છે. ગૃહ ઉદ્યોગો દ્વારા મહિલા સશક્તિકરણ, ઓર્ગેનિક ખેતી, સ્વચ્છતા, શિક્ષણ જેવા મુદ્દે સંસ્થા કામ કરી રહી છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં 10000 જેટલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત આર્ટ ઓફ લિવિંગ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટસનું ઉદ્ઘાટન પણ આજરોજ કરવામાં આવી રહ્યું છે. જેમાં શાસ્ત્રીય નૃત્ય, શાસ્ત્રીય સંગીત જેવા વિષયો પર શિક્ષણ આપવામાં આવશે. શાસ્ત્રીય સંગીત-નૃત્ય સાથે સંકળાયેલા શહેરના અગ્રણી કલાકારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.
ઉલ્લેખનીય છે કે જાહેરમાં શ્રી ધન્વન્તરી યજ્ઞનું આયોજન ગુજરાતમાં સૌ પ્રથમ વાર કરવામાં આવી રહ્યું છે. ધનતેરસના શુભ પર્વ નિમિત્તે શ્રી શ્રી રવિશંકર આશીર્વચન આપશે અને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગે વિશેષ વાર્તાલાપ કરશે.