જસદણ,
જસદણ પેટાચૂંટણીના પ્રતિષ્ઠાના જંગમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કર્યો. પ્રચાર અર્થે ભાજપે રેલીનું આયોજન કર્યુ હતુ. જેમાં મોટા પ્રમાણમાં પક્ષના કાર્યકરો જોડાયા હતા.
રેલી નગરમાં પ્રચાર અર્થે ફરી રહી હતી ત્યારે જસદણ કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયા ભાજપની રેલીમાં ફસાયા હતા. નાકિયાએ કારને રસ્તો આપવાનું કહેતા ભાજપના કાર્યકરોએ તેમને ભાજપને મત આપવાની વાત કરતા મામલો ગરમાયો હતો.
ભાજપનાં કાર્યકરોએ નાકિયાની કારને ધેરી કુવરજી બાવળિયાની જયજયકાર કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયાએ કોંગ્રેસનો વિજય થશે તેવુ જણાવતા ભાજપના કાર્યકરો અને નાકિયા વચ્ચે તુ તુ મે મે થઇ હતી. જો કે બાદમાં નાકિયાની કારને રસ્તો કરી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભાજપ-કોંગ્રેસની આ રેલીમાં ટ્રાફિકના હેલ્મેટ તેમજ સીટ બેલ્ટના નિયમોનો બંને પક્ષોએ ભંગ કર્યો હતો. ભાજપની સાથે જ કોંગ્રેસે પણ રેલી કાઢતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ગુસ્સે ભરાયા હતા અને મિડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ લુખ્ખાગીરી કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જેના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ તમામ આરોપોને નકાર્યા હતા અને કોંગ્રેસની રેલી પૂર્વયોજિત હોઈ ભાજપે રેલીનું આયોજન કર્યું હોવાનો વળતો આક્ષેપ કરી કહ્યું હતું કે, જસદણની જનતા જ ભાજપને આનો જવાબ આપશે.
