જમ્મુ-શ્રીનગર,
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ તેની નાપાક હરકતોને વધુને વધુ અંજામ આપી રહ્યા છે. શનિવારે સવારે આતંકીઓએ કુલ ત્રણ દુર્ઘટનાને અજાંમ આપ્યો હતો. આજે શનિવારે બપોર બાદ આતંકીઓએ બારામુલામાં એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકીઓએ બારામૂલાના મુખ્ય ચોક પર આ જઘન્ય કૃત્ય કર્યું હતું. તે પહેલા આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફની એક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો.
પુલવામાંમાં CRPF પોસ્ટ પર ગ્રેનેડથી હુમલો
પ્રાપ્ત વિગતો મુજબ આતંકીઓએ બપોરના સમયે પુલવામામાં એસબીઆઇની શાખાની સામે આવેલી એક પોસ્ટ પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો. આ વિસ્ફોટમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો હતો. ગ્રેનેડ હુમલા બાદ પોલિસ અને સીઆરપીએફનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરીને આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી.
તે સિવાય જમ્મુના બનિહાલ વિસ્તારમાં એક કારમાં વિસ્ફોટ થયો હતો. સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે આ વિસ્ફોટ તેની નજીકથી પસાર થનારા CRPF ના કાફલાને નિશાન બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરાયો છે. સામાન્યપણે આતંકીઓ ક્યારેય પણ સામાન્ય નાગરિકો કે પર્યટકોને નિશાન નથી બનાવતા ત્યારે આજે તેઓએ કરેલા આ જઘન્ય કૃત્યએ તેઓની ક્રૂરતાના પરચો આપ્યો છે.