લોકસભાની ચૂંટણીમાં PM મોદી અને ભાજપ અધ્યક્ષ અમીત શાહની મહેનત રંગ લાવી અને પાર્ટી 300નો આંકડા સુધી પહોંચી શકી. જો કે લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીની એક વિશિષ્ટ ઓળખ બતાવતા નારા પણ ખૂબ ચાલ્યા. આપને યાદ હશે કે 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો એક નારો હતો, “સબકા સાથ સબકા વિકાસ.”
છેલ્લા પાંચ વર્ષમાં દેશ અને વિદેશમાં ભારતને એક વિશિષ્ટ આગવી ઓળખ આપવામાં PM મોદી કઇક હદ સુધી સફળ રહ્યા હતા. જેના પરિણામરૂપે દેશની જનતાએ તેમને 2019માં એકવાર ફરી પૂર્ણ બહુમત સાથે સત્તા સોંપી છે. જો કે સત્તા એકવાર ફરી મેળવવા માટે PM મોદી અને અમીત શાહ, સાથે ઘણા પડદા પાછળની વ્યક્તિઓએ ખાસ ભૂમિકા ભજવી છે.
તમને યાદ હશે કે 2014માં સબકા સાથ સબકા વિકાસ સાથે મોદી સરકાર આવી હતી, આ વખતે “મોદી હે તો મુમકિન હે” થી લઈને “આએગા તો મોદી હી”નાં નારા સાથે ચાલેલા પ્રચાર કેમ્પેઈન બાદ ભાજપે અબકી બાર 300 પારનો લક્ષ્ય સાકાર કર્યો છે. મોદીનાં નામ પર અને રાષ્ટ્રવાદની લહેરમાં આ મોટી જીત બાદ દેશભરમાં ભાજપનાં કાર્યકરો અને સમર્થકોમાં જશ્નનો માહોલ છે તો બીજી તરફ મોદી સરકારની નવી કેબિનેટને લઈને પણ ચર્ચાઓનું બજાર ગરમ છે.
વડાપ્રધાન મોદી કેબિનેટમાં આ વખતે નવા ચહેરાઓને શામેલ કરી શકે છે. તો કેટલાક જુના ચહેરાઓને આરામ આપવામાં આવી શકે છે. આ સાથે જ પાર્ટીનાં નવા અધ્યક્ષનું નામ પણ નજીકનાં સમયમાં નક્કી થઈ શકે છે. ભાજપની આ મોટી જીત બાદ મોદી કેબિનેટનાં અનેક પ્રધાનોનાં મંત્રાલય બદલાઈ શકે છે. તો જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનાર નેતાઓને મહત્વનું સ્થાન મળી શકે છે. વડાપ્રધાન પદ બાદ ગૃહમંત્રાલય, નાણા મંત્રાલય જેવા મહત્વનાં મંત્રાલયો પર સૌની નજર છે. તો મોદી કેબિનેટમાં ગુજરાતનાં ગૃહપ્રધાન રહી ચુકેલા અમિત શાહને ગૃહમંત્રાલયનો કાર્યભાર સોંપાઈ શકે છે. અમિત શાહને તેમની ભવ્ય જીત માટે આ પદ ઈનામ તરીકે આપવામાં આવી શકે તેવુ સુત્રો જણાવી રહ્યા છે.