ભારતીય જનતા પાર્ટીનાં નેતા દ્વારા લખાયેલા પુસ્તકને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ શરૂ થયો છે. પુસ્તકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના મહારાષ્ટ્રનાં મહાપુરુષ છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરવામાં આવી છે, જે અંગે વિવાદ શરૂ થયો છે. ‘આજનાં શિવાજી-નરેન્દ્ર મોદી’ અંગેનો હોબાળો એટલો વધી ગયો છે કે શાસક શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ આ પુસ્તક અંગે નારાજગી વ્યક્ત કરી છે અને ભાજપ પાસે જવાબ માંગ્યો છે. મહારાષ્ટ્રનાં શાસક પક્ષોએ વિરોધી પક્ષ ભાજપ પર શિવાજીનું અપમાન કરવાનો આરોપ લગાવીને તેમના જવાબની માંગ કરી છે.
આ પુસ્તક વિશે શિવસેનાનાં સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું હતું અને ધારાસભ્ય શિવેન્દ્રરાજ ભોંસલે અને ભાજપનાં સાંસદ સંભાજી રાજે ભોંસલેને પૂછ્યું હતું કે, તેઓએ પુસ્તક સ્વીકાર્યું છે કે કેમ. આ પુસ્તક અંગે ભાજપનાં ધારાસભ્ય અને પ્રવક્તા અતુલ ભટખલકરે કહ્યું કે, પીએમ મોદી પોતે આ પુસ્તક પસંદ નહીં કરે. તેમણે કહ્યું કે શિવાજી મહારાજની કોઈની સાથે તુલના કરી શકાય નહીં. તેમણે કહ્યું કે પીએમ મોદી શિવાજી મહારાજને પોતાના ગુરુ માને છે. તે પોતે પણ શિવાજી સાથે તુલના કરવાનું પસંદ કરશે નહીં. શાસક પક્ષની સાથે ભાજપનાં નેતાઓ પણ આ પુસ્તકનો વિરોધ કરી રહ્યા છે. આ પુસ્તક સાથે ભાજપ બેકફૂટ પર આવી છે. કોંગ્રેસે તેને શિવાજી મહારાજનું અપમાન ગણાવ્યું છે.
આ પુસ્તક લખનાર દિલ્હી ભાજપનાં નેતા જયભગવાન ગોયલ હવે વિવાદોમાં ફસાઇ રહ્યા છે. આ પુસ્તકનું રવિવારે દિલ્હી ભાજપ કાર્યાલયમાં વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનાં વિમોચન પ્રસંગે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી, પ્રભારી શ્યામ જાજૂ અને પૂર્વ સાંસદ મહેશ ગિરી પણ હાજર હતા. હવે આ પુસ્તક ભાજપ માટે માથાનો દુખાવો બની ગયું છે. એનસીપીનાં નેતા અને મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી ધનંજય મુંડેએ પણ આ પુસ્તક સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેના લેખક અને ભાજપનાં નેતા જયભગવાન ગોયલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ શિવાજી મહારાજની મહાનતાની બરાબરી કરી શકે નહીં. ભાજપનાં રાજ્યસભાનાં સભ્ય છત્રપતિ સંમ્ભાજી રાજેએ પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
આ પુસ્તકનો વિવાદ એટલો વધી ગયો છે કે, નાગપુરમાં કોંગ્રેસનાં એક નેતાએ નંદનવન પોલીસ સ્ટેશનમાં આ પુસ્તકનાં પ્રકાશક અને લેખક ગોયલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઈએ કે, અગાઉ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન પણ શિવાજી મહારાજ સાથે જોડાયેલા એક પ્રશ્ન પૂછવા પર નિશાને આવી ચુક્યા છે. તેમણે પોતાના ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં એક સવાલ પૂછ્યો હતો, જેનાથી વિવાદ સર્જાયો હતો અને શો બોયકોટની માંગ ઉઠવા લાગી હતી.
શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પીએમ મોદીની તુલના શિવાજી સાથે કરવા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, ‘આ પુસ્તકનું દિલ્હીની ભાજપ કાર્યાલય પર વિમોચન કરવામાં આવ્યું, આ પુસ્તકનાં લેખક જયભગવાન ગોયલ છે, આ કોણ છે? આ ભગવાન ગોયલ એ જ વ્યક્તિ છે જેમણે દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં હુમલો કર્યો અને મહારાષ્ટ્રનાં શિવાજી મહારાજની સાથે મરાઠી લોકોનું અપમાન કર્યું. ખુબ સરસ ભાજપ. સંજય રાઉતે એક પછી એક ઘણા ટ્વીટ કરી ભાજપને બાનમાં લીધુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.