રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બહાર જોવા મળતી એમ્બ્યુલન્સની લાઈનો એકાએક ગાયબ થઇ જતાં લોકોમાં મોતની સંખ્યામાં ઘટાડો થયો હશે તેવી આશા બંધાઈ હતી. જ્યારેરાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોતની સંખ્યામાં ઘટાડો થયો નથી.રાજકોટમાં કોવિડ હોસ્પિટમાં મોતનો આંક વધી રહ્યો છે. 24 કલાકમાં વધુ 72 દર્દીના મોત થયા છે. જોકે, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 65 દર્દીના મોતમાંથી 9 દર્દીના જ કોરોનાથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટીમાં જાહેર કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં નવા 121 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34652 પર પહોંચી છે.જિલ્લા પંચાયતના સભ્ય સહિત અન્ય ૩ આગેવાનો પણ કોરોના સામે જંગ હારી ચૂક્યા છે.
શહેરના ચાર અગ્રણી નાગરિકો કોરોના સામે જંગ હાર્યા
રાજકોટ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોમાંથી વધુ એક સભ્યનું કોરોનાથી મોત થયું છે. જસદણના સાણથલી બેઠકના ભાજપના નિર્મળાબેન ધનજીભાઇ ભૂવાનું કોરોનાથી મોત થયું છે. નિર્મળાબેન 20 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા, પરંતુ અંતે તે કોરોના સામે હારી ગયા હતા. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય રણજિત મેણિયાનું પણ કોરોનાથી મોત થયું છે. જસદણ તાલુકાના બે સભ્યનું કોરોનાથી મોત થયું છે.
રવિવારે 65 દર્દીઓનાં સારવાર દરમિયાન મોત
રવિવારે વધુ 65 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 528 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરમાં 401 અને જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ 127 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે અત્યાર સુધીમાં જિલ્લા અને શહેરમાં કુલ પોઝિટિવ કેસ 44440 થયા છે. શનિવારે 69 દર્દીનાં મોતમાંથી 21 દર્દીનાં મોત કોવિડથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. જોકે મોતનો આંક હજુ વધુ જ છે.
તા. 02/05/2021, કુલ પોઝિટિવ :- 401
કુલ ટેસ્ટ :- 6601
કુલ પોઝિટિવ :- 401
પોઝિટીવ રેઈટ :- 6.07 %
કુલ ડીસ્ચાર્જ :- 684
આજે તા. 03/05/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 121
કુલ પોઝિટિવ કેસ :- 34652
કુલ ડિસ્ચાર્જ : 30446
રિકવરી રેઈટ : 88.17 %
કુલ ટેસ્ટ :- 1010908
પોઝિટિવિટી રેઈટ :- 3.42 %
બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 6577 લોકોએ કોરોના વેક્સિન લીધી
રાજકોટમાં કોરાન કેસની સંખ્યામાં આંશિક ઘટાડો થયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34652 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3864 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે રવિવારે 684 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18વર્ષથી 44 વર્ષના કુલ 3548 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 3029 સહિત કુલ 6577 નાગરિકોએ રસી લીધી.
સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા જનરલ દર્દીઓની અને કોવીડ-૧૯ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તા. ૦૩ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટર્લિંગ હોસ્પિટલની વિઝિટ કરી હતી. જ્યાં કુલ 208 બેડની હોસ્પિટલ છે જેમાંથી 98 બેડમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેમજ બાકીના બેડમાં જનરલ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ I.C.U., હોસ્પિટલ મેનેજમેન્ટ, ઇમરજન્સીમાં બહારનો રસ્તો, ફાયર સેફ્ટી વિગેરેની ચકાસણી કરી હતી.
ઘરેબેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા
જન્મ અને મરણ નોંધણીની પ્રક્રિયા હાલ રાજ્ય સરકારના વેબ પોર્ટલ eOlakhમાં કરવામાં આવે છે. આ નોંધણીની પ્રક્રિયા સંપુર્ણ ઓનલાઇન છે. જેથી દરેક હોસ્પિટલ દ્વારા બનતા જન્મ કે મરણના બનાવોની નોંધ આજ પોર્ટલમાં કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આજ પોર્ટલમાંથી જાહેર જનતાને ઘરે બેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલ્બ્ધ કરવામાં આવી છે. જે સુવિધા 1 ઓક્ટોબર 2020થી તમામ નોંધણીમાં લાગુ પડશે. જે સેવામાં પ્રમાણપત્ર ફક્ત ડાઉનલોડ કરી શકાશે, જેમાં કોઇ સુધારા કરી શકાશે નહી. આ સુવિધાનો લાભ આજથી જ શરૂ કરવામાં આવ્યો છે.આ સુવિધાનો લાભ લેવા1.WWW.EOLAKH.GUJARAT.GOV.IN સાઇટ મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં ઓપન કરવાની રહેશે. 2. આ સાઇટ ઓપન કરતા હોમ પેઇજ પર સિટીઝન સેન્ટરમાંથી ડાઉનલોડ સર્ટિફિકેટમાં ક્લિક કરવાનું રહેશે 3. ત્યારબાદ જે પ્રમાણપત્ર જોઇતું હોય તે સિલેક્ટ કરવાનું જેમ કે બર્થ અથવા ડેથ 4. સિલેક્ટ કર્યા બાદ કેવી રીતે શોધવુ જેમ કે મોબાઇલ નંબર અથવા એપ્લીકેશન નંબર આ પૈકી કોઇ એક વિગત દાખલ કરી સર્ચ કરવાનું રહેશે 5. ત્યારબાદ નીચે વિગત બતાવશે જેમાં ડાઉનલોડ કરવાનો ઓપશન આવશે જે ડાઉનલોડ કર્યેથી આપનું પ્રમાણપત્ર મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં તૈયાર હશે.
રાજકોટ એસટી ડિવિઝનમાં 9 ડેપોમાં આજે 20 થી વધુ બસ રૂટ રદ,કુલ 500 બસ રુટ માંથી હાલ 300 બસ રૂટ રદ
રાજકોટમાં કોરોનાનો કહેર એસટી ડિવિઝન સતત ચાલુ રહ્યો છે. ઘણા બધા મુસાફરો તેમજ એસટી ડેપોના કર્મચારીઓ તથા અધિકારીઓ કોરોનાની ઝપેટે ચડી રહ્યા છે. જેના કારણે મુસાફરોની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે. રોજબરોજ બસના રૂટ રદ કરવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજના ભી સહિત કુલ 300 બસ રૂટ રદ કરવામાં આવ્યા છે. રાજકોટ એસટી બસ પોર્ટમાં 65 મુસાફરોનો ટેસ્ટ કરાવતા 12 પોઝિટિવ મળી આવ્યા હતા. જેના કારણે મુસાફરોની સંખ્યામાં એકાએક ખૂબ જ ઘટાડો જોવા મળતાં મુસાફરોના અભાવમાં બસોને ધડાધડ રદ કરવાની એસટી ડિવિઝનને ફરજ પડી છે. કુલ 500 બસ રુટ માંથી હાલ 300 બસ રૂટ રદ કરવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 60 ટકા બસ સેવાઓ હાલ બંધ કરી દેવામાં આવી છે.