ચક્રવાત તોફાન ‘તાઉતે’ નાં કારણે ગુજરાતમાં વ્યાપક વિનાશ સર્જાયો છે. 21 જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાતી તોફાન અને વીજળીનાં કારણે હજારો વૃક્ષ-સંકુલને નુકસાન પહોંચ્યું છે. વળી જો ધાંગ્રધ્રાની વાત કરીએ તો અહી પણ મોડી રાત્રીથી વરસાદ પડતા બસોનાં રૂટને અસર પડી છે.
વાવાઝોડાની અસર / નૌસેનાએ બાર્જ પરથી અત્યાર સુધીમાં 177 લોકોને બચાવ્યા
આપને જણાવી દઇએ કે, ધ્રાંગધ્રા પંથકમાં તાઉતે વાવાઝોડાની અસર ગઇકાલે મોડી રાત્રીથી જ શરૂ થતા સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં રહ્યુ છે. તેવામાં ધ્રાગધ્રા તરફ આવતી-જતી તમામ બસોને ધ્રાગધ્રા એસ.ટી સ્ટેન્ડ ખાતે સ્થગિત કરી દેવાઇ છે. જોકે ધ્રાગધ્રામાં આવતી અંદાજે 11 રૂટની સરકારી બસોનાં પૈડા થંભી જતા આશરે 120 જેટલા મુસાફરોને રહેવા તથા જમવાની સગવડતા કરી મુસાફરોને તકલીફ પડે નહિ તે માટેની ખાસ વ્યવસ્થા હાથ ધરાઇ છે. જણાવી દઇએ કે, આજે બપોરે માહિતી આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચક્રવાતને કારણે ઘણું નુકસાન થયું છે. 40 હજાર વૃક્ષો પડી ગયા છે અને સાડા 16 હજાર ઝૂંપડાઓ આ વાવાઝોડાનાં કારણે અસરગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે ત્રણ લોકોનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદમાં વાવાઝોડાની અસર / અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ
ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં તાઉતે વાવાઝોડું નબળું પડી જવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપી છે. વધુમાં તેમણે કહ્યુ કે, વાવાઝોડું આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.