કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલ ઓકિસજનની માંગને પહોંચી વળવા તેમજ તે અંગે આત્મનિર્ભર બનવા કચ્છ વહીવટી તંત્ર સતત પ્રયાસ કરી રહયું છે. જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે પણ આ અન્વયે અગાઉ ત્રણ ઓકિસજન પ્લાન્ટ કાર્યરત છે તથા હાલ આ ઓકિસજન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરતા ચોથા ઓકિસજન પ્લાન્ટનું રાજયમંત્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લીકવીડ ઓકિસજનનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં અવિરત મળતો રહે તેવા આશય સાથે ૨૦ કિલો લિટરની લીકવીડ ઓકિસજન સ્ટોરેજ ટેન્કને પણ શરૂ કરવામાં આવી હતી. જેમાં લીકવીડ ઓકિસજનનો સંગ્રહ કરી શકાય.
આ ઉપરાંત રાજયમંત્રીની ઉપસ્થિતિમાં જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે નવો અલાયદો ઈમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જે ૮ આઈ.સી.યુ. બેડ સહિત કુલ ૩૫ બેડની ક્ષમતા ધરાવે છે અને આ ચોથા ઓકિસજન પ્લાન્ટનો શુભારંભ થતા હવે જી.કે.જનરલ હોસ્પિટલ કુલ ૫૦૦ સીલીન્ડર ક્ષમતા ધરાવે છે. જેથી ઓકિસજન બાબતે જી.કે.જનરલ હોસ્પિટલ આત્મનિર્ભર બન્યું છે અને દર્દીઓને કોઇ હાલાકી ભોગવી નહીં પડે.
આ પ્રસંગે રાજયમંત્રીએ જણાવ્યું હતું કે, અદાણી સંચાલિત હોસ્પિટલ દ્વારા ખુબજ સારી કામગીરી થઇ રહી છે. લોકોને તકલીફ ન પડે તેની તંત્રની સાથે અદાણી જેવી અનેક મોટી કંપનીઓ મહેનત કરી રહી છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલા આ ચોથા પ્લાન્ટ થકી કચ્છ ઓકિસજન બાબતે આત્મનિર્ભર બની રહયું છે તે આનંદની વાત છે.