યુપી સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાન અને તેમના પુત્રને કોરોના મુક્ત અને સ્વસ્થ થઇ જતાં મંગળવારે હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી હતી. બંનેને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઉત્તરપ્રદેશની સીતાપુર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા 72 વર્ષના આઝમ ખાન અને તેના 30 વર્ષના પુત્ર મોહમ્મદ અબ્દુલ્લા ખાનને 9 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંનેને બે મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રજા આપવામાં આવી હતી.
મેદાંતા હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, 9 મે 2021 ના રોજ સમાજવાદી પાર્ટીના સાંસદ મોહમ્મદ આઝમ ખાન અને તેમના પુત્ર મોહમ્મદ અબ્દુલ્લા ખાનને કોરોના ચેપને કારણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હોસ્પિટલના નિવેદન મુજબ, આજે 13 જુલાઈની સવારે તેમની અને તેમના પુત્રની તબિયતમાં સુધારણાને ધ્યાનમાં રાખીને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આઝમ ખાન અને તેનો પુત્ર હવે સંપૂર્ણ સ્વસ્થ છે. મેદાંતા હોસ્પિટલના ડિરેક્ટર ડો.રાકેશ કપૂરે જણાવ્યું કે તેમને સીતાપુર જિલ્લા જેલમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે આઝમખાન સામે ઘણાબધા કેસો ચાલી રહ્યા છે.