જેતપુરની ભાદર નદીને પ્રદૂષણ માફિયા દુષિત કરી રહ્યા છે. ત્યારે જાગૃત નાગરિક દ્વારા આજે નદીને પ્રદુષિત કરતા કે પ્રદૂષણ માફિયાના ટેન્કરને પકડી પાડવા માં આવ્યું હતું. મોટી સંખ્યા માં ગામ લોકો ભેગા થઇ જતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ GPCB પણ જાગ્યું હતું. અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જેતપુરની ભાદર નદીને વર્ષો થી પ્રદુષિત કરવામાં આવે છે, અને નદીની અંદર કલર અને કેમિકલ યુક્ત ઝેરી કચરો નાખીને નદી પ્રદુષિત કરી નાખવામાં આવી છે. ભાદર નદીને પ્રદુષિત કરતા પ્રદૂષણ માફિયાઓ ક્યારેય પકડાતા નથી ત્યારે જેતપુરના લુણગારા અને પંચપીપળા ની વચ્ચે કે જાગૃત નાગરિકે પ્રદુષિત કેમિકલ થી ભરાયેલ 20 હજાર લીટરનું ટેન્કર પડકી પાડ્યું હતું. બનેલ ઘટના મુજબ ગત રાત્રી ના રોજ એક મિલ્ક વાહન લખેલ ટેન્કર જેતપુરથી પંચપીપળા રોડ ઉપર જતું હતું. ત્યારે કેરાળીના એક ગ્રામજનને શંકા જતા પ્રદુષિત કલર કેમિકલ ભરેલ ટેન્કરનો પીછો કર્યો હતો. જે શંકાસ્પદ રીતે લુણાગરા અને પંચપીપળાની વચ્ચે આવેલ રિલાયેબલ બાયો કોલના કારખાનામાં ગયું હતું.
દૂધનું મોટું 20 હજાર લીટરનું ટેન્કર અને બાયોકોલના કારખાનાને શું સબંધ છે ? તે તપાસ કરતા અને પાછળ પાછળ જતા આ ટેન્કર અને કારખાનાની અંદર એક એવી વ્યવસ્થા ગોઠવેલ અને ખાસ કુંડી બનાવેલ હતી જેમાંથી સીધું પાણી ભાદર નદીમાં ઠલવાઇ જાય. આ સમગ્ર મામલો આસપાસના ગામ લોકોને ખબર પડી જતા અહીં મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થઇ ગયા હતા. જેને પગલે પ્રદુષિત પાણી લઈને આવેલ ટેન્કરનો ડ્રાયવર ભાગી છૂટ્યો હતો.
ઉગ્ર થયેલ ગામ લોકોએ બાયોકોલના કારખાનામાં કામ કરતા કર્મચારીને હાથે લીધો હતો અને માથાકૂટ થઇ હતી. ઉગ્ર થયેલ મામલાને થાળે પાડવા માટે પોલીસનો મોટો કાફલો બોલાવો પડ્યો હતો. સાથે સમગ્ર મામલો GPCBનો હોઈ GPCB ના અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી અને પ્રદુષિત પાણીના સેમ્પલ લીધા હતા.
ભાદર નદીમાં થતા પ્રદૂષણે માજા મૂકી છે અને આ પ્રદૂષણ લીધે ભાદર નદીના કાંઠે આવેલ ખેડૂતોના ખેતરોની જમીન પ્રદુષિત થઇ ગઈ છે અને બંજર બની છે. સાથે આ પ્રદુષિત પાણી ભાદર 2 ડેમમાં પણ પહોંચ્યું છે જેને લઈને પીવાના પાણી પણ બગડી ચુક્યા છે. ભાદર નદીને પ્રદૂષણને લઈને અવારનવાર આંદોલન થઈ ચુક્યા છે. સરકાર અને GPCB પુરે પુરા વાકેફ છે ત્યારે નદી ને પ્રદુષિત કરતા પ્રદુષણ માફિયા ઉપર જનતા રેડ થી નદીને પ્રદુષિત કરતા ટેન્કર ને પકડી પાડ્યું છે ત્યારે GPCB માત્ર પાણી ના નમૂના લઈ ને સંતોષ માનશે કે નક્કર પગલાં લેશે તે જોવું રહ્યું
વિકાસ ની સાથે પ્રદૂષણનો પ્રશ્ન પણ વિકાસ થતો જાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે બચવા અને આવતી પેઢી ને બચવા માટે પ્રદૂષણને રોકવું ખુબજ જરૂરી છે, ત્યારે સરકાર પ્રદૂષણ કરતા પ્રદૂષણ માફિયા સામે સખ્તમાં સખ્ત પગલાં લે તે જરૂરી છે